કેવી રીતે કરવી સુરક્ષા
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસ સામે સૌથી સચોટ ઉપાય સ્વચ્છતા જાળવવી તે છે.
- સમયાંતરે તમારા હાથ સાબુ અને પાણી અથવા આલ્કોહોલ આધારિત હૅન્ડ રબથી સારી રીતે ધુઓ. ઘસીને હાથ ધોવાથી તેના પર રહેલા વાઇરસ નાશ પામે છે.
- આંખ, નાક અને હોઠને હાથથી અડવાનું ટાળો. હાથથી આપણે અનેક સપાટીને સ્પર્શ કરતા હોઈએ છીએ અને તેમાં વાઇરસ આવી ગયો તેવું બને. આવા હાથે તમે ચહેરાનાં આ અંગોને અડો તો તેનાથી શરીરમાં ચેપ પ્રવેશી શકે.
ચેપ ફેલાતો કેવી રીતે રોકી શકાય?
- ખાંસી કે છીંક આવે ત્યારે ટિસ્યૂ પર કે હાથરૂમાલ પર કરો. તે પણ ના હોય ત્યારે કોણી વાળીને તેની વચ્ચે કરો જેથી છાંટા આસપાસ ઊંડે નહીં.
- ટિસ્યૂ તરત ફેંકી દો. તેની પાછળનો હેતુ વાઇરસ ધરાવતા છાંટા બીજા સુધી ના પહોંચે અને ચેપ ના લગાવે તેવો છે.
- આ જ કારણસર એકબીજાથી 2 મિટરનું – બંને બાજુ હાથ ફેલાવીએ લગભગ તેટલું અંતર રાખવા માટેનું કહેવામાં આવે છે.
- ઘણા બધા વિસ્તારોમાં લોકોને ઘરની બહાર ના નીકળવા સૂચના આપવામાં આવી છે. અનિવાર્ય કામે જ બહાર નીકળવું જોઈએ, જેથી ખાંસી કે છીંક ખાનારા બીજા લોકોના સંપર્કમાં આવવાનું બને નહીં.
- બહાર નીકળો અને સંપર્કમાં આવો ત્યારે હાથ મેળવવાનું ટાળો એમ WHO કહે છે. જરાક નમીને કે નમસ્તે કહીને હાથ જોડીને અભિવાદન કરી શકાય.
માસ્ક અને મોજાં ઉપયોગી થાય ખરાં?
બજારમાં મળતાં કાપડના સાદા માસ્કથી ચેપથી બચી શકાતું નથી. કારણ એ કે તે બહુ ઢીલા હોય છે, આંખેને ઢાંકતા નથી અને લાંબો સમય પહેરી શકાતા નથી.
ચેપ લાગ્યો હોય તે વ્યક્તિએ માસ્ક પહેર્યો હોય તેનાથી તેમના છાંટા બહાર ઊડતાં અટકે છે.
યાદ રાખો કે Sars-CoV-2 વાઇરસનો ચેપ લાગ્યો હોય, તેમાંથી ઘણી વ્યક્તિઓને બીમારીનાં કોઈ લક્ષણો દેખાતાં નથી. તેથી બીજા લોકો વચ્ચે જઈએ ત્યારે માસ્ક પહેરી રાખવામાં કંઈ ખોટું નથી.
મોજાં વિશે પણ WHO કહે છે કે તે પહેર્યાં પછીય ચેપ લાગી શકે છે. મોજું પહેર્યું હોય અને પછી તેનાથી ચહેરાને અડવામાં આવે તો ચેપ લાગવાની શક્યતા રહે જ.
WHOના જણાવ્યા અનુસાર મોજાં પહેરવાં કરતાંય હાથને વારંવાર સાબુ અને પાણીથી ધોવાથી Covid-19 સામે વધારે રક્ષણ મળે છે.