ખંભાતમાં ૨૪ ફેબ્રુઆરીના રોજ સર્જાયેલ કોમી વૈમનસ્ય અને હિંસા બાદ મોટા પ્રમાણમાં મકાનો,વાહનો,દુકાનો ને નુકશાન થતાં બોર્ડની પરીક્ષા પૂર્વે જ વાતાવરણમાં સ્તબ્ધતા પ્રસરી ગઈ.ઘરબાર વિહોણા પરિવારજનો માટે સ્નેહીજનો અને રહતા છાવણી આધાર બન્યો.
.
બોર્ડની પરીક્ષા પૂર્વે થયેલ હિંસક અથડામણ બાદ સ્થાનિક શિક્ષક શૈલેષ રાઠોડે ટીમ બનાવી અસરગ્રસ્ત વિસ્તારનું મૂલ્યાંકન અને સર્વે કર્યું.જેમાંધ્યાને આવ્યું કે,કોમી તોફાનો બાદ અનેક બાળકો શાળામાં રીશીપ્ટ લેવા પણ ન આવ્યા.આ બાળકો માટે શ્રી માધવલાલ શાહ હાઈ.ખંભાતના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શૈલેષ રાઠોડે આચાર્ય રોહિતભાઈ સુથારના માર્ગદર્શન હેશાલ “સૌહાર્દની શિક્ષા”અભિયાન શરુ કર્યું.
આ માટે સર્વેમાં શિક્ષકોએ નોધ્યું કે-વિદાઈ સમારંભમાં અસરગ્રસ્ત વિસ્તારના બાળકોએ હાજરી ન આપી તેમજ વિદાઈ સમારંભમાં ગેરહાજર રહ્યા.બોર્ડના બાળકો પરીક્ષાલક્ષી સૂચનોથી વંચિત ન રહે તેમજ દરના માહોલ વચ્ચે પરીક્ષા ન આપે તે માટે આયોજન હાથ ધાર્યું.ધો.૧૦ ની પરીક્ષા આપતા નવા બાળકો પરીક્ષાલક્ષી માહિતીથી વંચિત ન રહે તે માટે પ્રથમ મોટીવેશન સ્પીચ અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટે રાહત છાવણી તેમજ અસરગ્રસ્ત વિસ્તાર માટે પ્લાનીગ કર્યું.આ કાર્યમાં રાજ્યપાલ એવોર્ડ વિજેતા શૈલેષ રાઠોડ સાથે શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલ,ખંભાતના આચાર્ય રોહિતભાઈ સુથાર,પૂર્વ આચાર્ય અશોકભાઈ શાહ,અલ્પેશ પરમાર,હેમલ શાહ સહિતના અધ્યાપકો જોડાયા.
ખંભાતના અકબરપુર,પીરજપુર,ભાવસારવાડ,લાલ દરવાજા,ચુનારવાડ,સાલ્વા જેવા વિસ્તારોમાં જઈ શિક્ષકોએ શિક્ષણમાં સહાયક સામગ્રી આપી અને ધો.૧૦ તેમજ ધો,૧૨ ના ૧૨૦ થી વધુ બાળકો સાથે સંવાદ કરી માનસિક રીતે સ્વસ્થ કરી હુંફ પૂરી પાડી.રાહત છાવણીમાં અને સર્ગ્રસ્ત વિસ્તારમાં રહેતા બાળકોને શિક્ષકોએ સમભાવના પાઠ ભણાવ્યા અને મોટીવેશનલ સ્પિચ દ્વારા હળવા કર્યા.આ અભિયાનમાં બાળકોના પરિવારજનો પણ જોડાયા.એક તરફ પોલીસ અને લશ્કરના જવાનોથી ઘેરાયેલો વિસ્તાર,તોફાનોનો ડર અને પરીક્ષાનો માહોલ…આ બધા વચ્ચે જયારે બાળકોએ પોતાના ઘર આંગણે અને રાહત શિબિરમાં પોતાના શિક્ષકોને જોયા ત્યારે ઉત્ત્સાહ બમણો થઇ ગયો.
શૈલેષ રાઠોડે રાહત છાવણીમાં બાળકોને જણાવ્યું કે,“આપણે સહુ પરીસ્થિત સામે લાચાર બનનારનહિ પરંતુ આચાર વિચાર થકી સફળતાને પંથે ચાલનાર વટેમાર્ગુ છીએ.દરેક વિદ્યાર્થીએ નિભર્ય બનીને શાંત ચિત્તે પરીક્ષા આપવા શાળાએ આવવું.કોઇપણ મુશ્કેલી પડે તેઓ દરેક શાળામાં આચાર્ય કાર્યાલયનો સંપર્ક કરવો.અમે પણ દરેક કેન્દ્ર સુધી તેમને મુકવા આવીશું.વર્ગખંડમાં પ્રશ્ન પેપરનું પઠન કર્યા પછી આવડતા પ્રશ્નોના જવાબ પહેલા લખવા જોઈએ.નવો વિભાગ નવા પાને લખવો જોઈએ.ગભરાયા વિના સુવાચય અક્ષરે લેખન કરવું જોઈએ.જેમના ઘરોને નુકશાન થયું છે તેમના માટે શાળામાં વાંચન કક્ષની અલાયદી વ્યવસ્થા કરી છે.”
આચાર્ય રોહિતભાઈ સુથારે જણાવ્યું હતું કે, “જે કોઈ વિદ્યાર્થીઓનું સાહિત્ય સળગી ગયું હોય તેઓને શ્રી માધવલાલ શાહ હાઇસ્કૂલમાં સંપર્ક કરવો.અમે તેઓને તમામ સુવિધા પુરી પાડીશું.રિસીપ્ત ન હોય તો પણ પરીક્ષાના દિવસે શાળામાંથી રિસીપ્ત લઈ જવી.”
ખંભાતમાં કોમી દાવાનળ ફાટી નીકળતા ૧૦૦ થી વધુ મકાનોને આગ ચંપીને પગલે તેમજ અનેક મકાનોને નુકશાનને પગલે અનેક વિસ્તારો ખાલી ખમ થઈ ગયા હતા. કોમી દાવાનળ બાદ ૧૦ દિવસ બાદ પણ અકબરપુર, ચુનારવાડ, સહિતના અસરગ્રસ્ત હોઈ સુમસામ બની ગયા.કોમવાદી તત્વો પલિતો ચાંપી પલાયન થઈ ગયા હોઈ ખંભાતની શાળાના આચાર્ય અને શિક્ષકોએ રાહત છાવણીમાં ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે પ્રોત્સાહન આપવાનું અનોખું અભિયાન હાથ ધર્યું છે.તેમજ બંદોબસ્તને પગલે રહેલા પી.એસ.આઇ ડી.એન.રાવલ, રેપીડ એક્શન ફોર્સની ટીમ સાથે ગલીએ ગલીએ ફરી વિસ્તારોની મૂલાકાત લીધી હતી.જેને ધારાસભ્ય સહિત ડી.વાય.એસ.પી તેમજ પોલીસ ટાસ્ક ફોર્સે પણ આવકારેલ છે.
ખંભાતની સાલવા સ્થિતિ રાહત છાવણીમાં અંદાજીત ૭૦૦ જેટલા લોકો આશરો લઈ રહ્યા હોઈ આ વિસ્તારની મુલાકાત ખંભાતની માધવલાલ શાહ હાઈ સ્કૂલના આચાર્ય રોહિતભાઈ સુથાર, ડાયરેકટર એસ.ઝેડ વાઘેલા હાઈસ્કૂલ અશોકભાઈ શાહ, રાષ્ટ્રીય-રાજ્ય એવોર્ડ વિજેતા શૈલેષભાઈ રાઠોડ, અલ્પેશભાઇ પરમાર સહિતના શિક્ષકોએ મૂલાકાત લઈ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ પરીક્ષા કેવી રીતે આપવી તેની માહિતી માર્ગદર્શન આપી સ્મૃતિભેટ અર્પી હતી.
ખંભાતમાં બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે પરિક્ષાર્થીઓ માટે ‘શિક્ષક વાહન’નો નવતર પ્રયોગ.ઘર આંગણે શિક્ષકો દ્વારા પરિક્ષાર્થીઓનો સ્વાગત-ભયમુક્ત ભાવાવરણનું સર્જન.
શિક્ષકોના સૌહાર્દની શિક્ષાના અનોખા અભિયાન બાદ ખંભાતના બાળકોમાં બોર્ડની પરીક્ષાને લઈ ગજબનો ઉત્સાહ જોવા મળ્યો.બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે હોઇ “ધો.10 અને 12ના બાળકો માટે શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલ દ્વારા “શિક્ષક વાહન”નો નવતર પ્રયોગ કર્યો હતો.પ્રથમ દિવસે જ
અસરગ્રસ્ત એવા ભાવસારવાડ,પીરજપુર, અકબરપુર,સાલવા સ્થિત રાહત છાવણીમાં શિક્ષકો પોતાના વાહનો લઈ સવારે પહોંચી ગયા હતા.અને ગાડીમાં ગુલાબ, પેન, ચોકલેટ પણ રાખી શિક્ષકો શૈલેષ રાઠોડ, જીગ્નેશ પડ્યા, ડૉ. ચિરાગ પટેલ, હેમલ શાહ પણ પોતાના વાહન સાથે જોડાયા હતા.શિક્ષકોએ સદર વિસ્તારોમાં ‘શિક્ષક વાહન’ લઈ જઇ ઘર આંગણે જ પુષ્પ અને ચોકલેટ અર્પી શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.તેમજ ભયમુક્ત ભાવાવરણ આપ્યું હતું.ત્યારબાદ શિક્ષકો પ્રથમ દિવસે જ પરિક્ષાર્થીઓને શિક્ષક વાહન મારફતે ગાડીમાં બેસાડી ઘરથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી ઉમદા અભિગમ અપનાવ્યો હતો.સાચે જ બાળકો માટે હૂંફ બનતી સેવાને રહીશોએ, વાલીઓ, આગેવાનોએ પણ આવકારી શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.દરેક શિક્ષકે વાહન ઉપર”ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડના વિધાર્થીઓ માટે શિક્ષક વાહન” એવા બેનર લગાવ્યા હતા.
આ અંગે માધવલાલ શાહ હાઈસ્કૂલના આચાર્ય રોહિતભાઈ સુથારના જણાવ્યા અનુસાર,મેં ધોરણ-૧૦ અને ૧૨ માટેના ‘શિક્ષક વાહન’ વહેલી સવારે પ્રસ્થાન કરાવ્યું હતું.અસરગ્રસ્ત વિસ્તારમાં સાચેજ બાળકો ને મળ્યાનો આનંદ પરિવારને વિશેષ હતો. બાળકો અમને મળવા બહાર દોડી આવ્યા. સહુનું પુષ્પ, પેન આપી મો મીઠું કરી સ્વાગત કર્યું.
શૈલેશ રાઠોડે જણાવ્યું હતું કે,”જે બાળકોએ અમારી સાથે આવવાની ઈચ્છા વ્યક્ત કરી તેમને તેમના કેન્દ્ર સુંધી મૂકી આવ્યા.સાથે સાથે સાથી શિક્ષકોએ વિસ્તારના નાના બાળકોની મુલાકાત,વાલી મુલાકાત કરી અને પરસ્પર ભાઈચારો, પ્રેમ, સહનુભૂતિના પાઠની આપલે કરી. જેમનું છીનવાઈ ગયું છે તેવા બાળકોને માનસિક શાંત્વના મળે તે માટે સૌહાર્દના પાઠ ભણાવ્યા હતા.
શિક્ષકોના અનોખા અભિયાન પછી ખંભાતના બાળકો-વાલીઓ માટે નવી સવાર ઉગી.૯૦ થી વધુ બાળકો કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહે છે તેમને સાચી હુંફ મળી.ઉપરાંત હજારો વિધાર્થીઓ જે ભયના માહોલમાં હતા તેઓ પણ શિક્ષકોના અભિયાનથી ઓતપ્રોત બન્યા-અભિભૂત થયા.ધારાસભ્ય મયુર રાવલે શિક્ષકોની સૌહાર્દની શિક્ષાને બિરદાવી જણાવ્યું હતું કે,શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલના શિક્ષકોના પ્રયાસોને કારણે સંવેદનશીલ એવા ખંભાતમાં પ્રેમ-ભાઈચારાનો માહોલ સર્જાયો છે.ખંભાતમાં હિન્દૂ મુસ્લિમ એકતા આજે પણ અકબંધ છે. સહુ સાથે રહે છે, સહુ પ્રેમથી જીવે છે.કોઈને કોઈ પ્રત્યે કંઈજ દુઃખ નથી.આ અભિયાન બાદ સહુ ફરી આનંદથી,પ્રેમથી નવી સવારને જીવવા લાગ્યા છે.બાળકોમાં અનોખો ઉત્ત્સાહ જોવા મળ્યો છે.એકપણ બાળક પરીક્ષાથી વંચિત રહ્યો નથી તે સાચી સફળતા છે.શિક્ષકોના પ્રયાસોથી ખંભાત ફરી જીવંત બની ગયું.
શિક્ષક શૈલેષ રાઠોડે જણાવ્યું હતું કે,”રોજ સવાર નવી ઉગે છે. આપણે સહુ એકતાના તાંતણે બંધાઈને પ્રેમ ભાઈ ચરાથી નવી શરૂઆત કરીએ. આનંદથી, ધીરજથી જીવનની પરીક્ષા આપીએ.ખંભાત ધબકતું થયું તેનું કારણ સહુનો પરસ્પરનો પ્રેમ અને લાગણી છે.”
રોહિતભાઈ સુથાર,
આચાર્ય,શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલ,ખંભાત