મુશ્કેલી આવે ત્યારે ઘનઘોર વાદળોની જેમ નિરાશા આપણને ઘેરી વળે છે.આપને ડરી
જઈને હારી જઈએ ત્યાં સુધી ઘેરાઈ જઈએ છે.પરિસ્થિતિ બદલાઈ ત્યારે એક નાની
સરખી વાદળી પણ નજરે નથી પડતી.નિષ્ફળતા,કામનું કદ કે પ્રશ્નોની જટિલતાથી
આપણે ડરી જઈએ છીએ.આવી સ્થિતમાં એટલું જ યાદ રાખવું-મારે એકસાથે બધું જ સુખ
કે સફળતા નથી મેળવવાની પણ ધીમે ધીમે કાર્ય કરતા રહેવાથી સફળતા મળવાની જ છે.
સફળતા પરિશ્રમ અને મહેનતની સાથે સાથે ધીરજ,સાહસ,હિમત અને આશા માંગે છે.નિષ્ફળતાઓ
વચ્ચે આશાઓને જીવતી રાખી ઉદ્યમ કરતા રહેનાર જ સફળતાની સંપતિ મેળવે છે.યાદ
રાખીએ સારા સમયમાં અભિમાન ન કરવું અને નિષ્ફળતામાં ક્યારેય ન ડરવું.હા,બને
એવું કે જીવનમાં ક્યારેક અનેક પરીક્ષાઓ અને નિષ્ફળતા પછી એવી ક્ષણ આવે કે
સામે કોઈ રસ્તો જ ન જડે.નિરાશાઓ વાદળો ઘેરી વળે ત્યારે યાદ રાખીએ…ચાલતા
રહો..હજુ ચાલો…સામે ધીમે ધીમે વાદળો હટશે.નવી સુંદર સવાર તમારી હશે.
“ઉદ્યોગીને સત્તા મળે છે,પણ આળસુ-એદી તાબેદારી નોતરે છે.આળસુ કદી શિકાર પામતો નથી,ઉદ્યોગી મહામૂલી સંપતિ પામે છે.”(સુભાષિતો ૧૨:૨૪,૨૭)
બાઈબલમાં
ઉદ્યોગી એટલે કે પરિશ્રમ કરનાર જ સફળતા મેળવે છે એ વિધાન સ્પષ્ટ રીતે
નોધાયું છે.આ વિધાન ચરિતાર્થ કર્યું નડિયાદ મિશન રોડ ખાતે રહેતી દીકરી
વંદનાએ શાંતિલાલ મેકવાને.તેના સંઘર્ષમાંથી એટલું જરૂર વર્તાય કે,નિષ્ફળતા જ સિદ્ધિ મેળવવાના પગથિયા સમાન બની રહે છે.તમે તળિયે પછડાયા છો ત્યારે કેટલે ઊંચે ઊઠો છો એ તમારી સફળતાની પારાશીશી છે.
નિષ્ફળતા
અને સફળતા બંને પાસાને જીવનમાં હારીને પાછા પડવા માટે નહી પણ આગળ વધીને
પ્રગતિ કરવા માટેની પ્રેરણાના સ્ત્રોત તરીકે જોવી જોઈએ.
અબ્રાહમ લિંકન અને હેલન કેલર કે જેઓ તેમના ક્ષેત્રમાં આ બે ગુરુ ચાવીઓ
દ્વારા સફળ થયા હતા. અબ્રાહમ લિંકન વાસ્તવમાં પોતાની રીતે જ ભણ્યા.તેઓને અનેક વખત નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો પણ સંઘર્ષો-નિષ્ફળતાઓ વચ્ચે અડગ રહ્યા અને
છતાં પણ ગુલામી નાબુદ કરવા અને સરકારનાં આધુનિકરણ માટે અમેરીકાનાં સોળમાં
પ્રમુખ બની શક્યા હતા. એવી જ રીતે, હેલન કેલર પહેલા એવા અંધ બહેરા વ્યકિત
હતા પણ સખત પરિશ્રમ કરતાં રહ્યા પરિણામે તેમણે બી.એ. (બેચલર ઓફ આર્ટસ) ની ડીગ્રી પ્રાપ્ત કરી. તેમણે
દુનિયાભરના અપંગ વ્યક્તિઓને મદદ કરવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું
હતું. તે અમેરીકન ફાઉન્ડેશન ફોર ધી બ્લાઈન્ડ સંસ્થાના સ્થાપક પણ હતા.પરિશ્રમનો
અર્થ થાય કે આપણે સતત ધ્યેય માટે પ્રયત્નશીલ રહીએ.ભલે વારંવાર નિષ્ફળતાઓ
મળે પણ આપણે જે ધ્યેય નક્કી કર્યો હોય એને પહોંચી વળવું .
અભ્યાસમાં નિષ્ફળતાને કારણે વર્તમાન સમયમાં વિદ્યાર્થી તૂટી
જાય છે અને
ક્યારેક જિંદગીનો અંત લાવવા સુધીનું પણ પગલું ભરી લે છે, પણ નિષ્ફળતામાં
મળેલી હતાશાને જ પોતાની જીતનું પગથિયું બનાવનારી
નડિયાદની કેથોલિક,અધ્યાત્મિક,સતત પ્રવૃતિશીલ દીકરી વંદનાએ.મૂળ ગામ ખડાણા
અને હાલ નડિયાદ રહેતા શાંતિલાલભાઈ(નિવૃત કર્મચારી વન વિભાગ) તેમજ
વિમળાબેન(નિવૃત,આરોગ્ય વિભાગ)ની દીકરી વંદના સમાજનું ગૌરવ બની છે.વંદના
સાથેની મુલાકાતમાં તેની અભિવ્યક્તિ સાચે જ આજના યુવા વર્ગ માટે આંખો ખોલનાર
રહી.જે અહી પ્રસ્તુત છે.
વંદના જણાવે છે કે,”પ્રથમ
પ્રયાસમાં નિષ્ફળતા બાદ સતત મહેનત કરી.નડિયાદમાં સીએની તૈયારી માટેની સિમિત
સગવડ હોવા છતાં પણ મહેનત,પરિવારજનોના સહયોગ અને ઈશ્વર આશિષથી સ્વપ્ન સાકાર
થયું છે. હું અભ્યાસ દરમ્યાન ગ્રેજ્યુએશન સુધી સતત ટોપ પર રહી હતી. જોકે
સીએમાં સતત
ચાર પ્રયત્ન નિષ્ફળતા મળી હતી.એક સમયે હું ભાંગી પડી હતી.પણ મનમાં ધ્યેય
નક્કી હતો કે સીએ બનવું જ છે.મારા માતા –
પિતાના સહકાર અને ઈશ્વર આશીર્વાદથી હું નિષ્ફળતાઓમાં વધુ મક્કમ રહી મહેનત
કરતી રહી ને છેવટે
માતા-પિતાના સ્વપ્નને સાકાર કરીને, 5મા પ્રયાસમાં સી.એ.ની પરીક્ષામાં
ઉત્તીર્ણ થઇ.
વંદના
શાંતિલાલ મેકવાનએ 25 વર્ષે અથાગ મહેનત બાદ સી.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ
થવાનું પોતાનું અને માતા – પિતાનું લક્ષ્ય પૂર્ણ કર્યું છે. જોકે આ લક્ષ્ય
હાંસલ કરવામાં વંદનાએ અનેક ઉતાર-ચઢાવ જોયા છે. કેટલીયવાર હતાશા અને હારનો
સામનો કરીને પણ તેણે લક્ષ્ય ભેદવા અથાગ મહેનત કરી હતી.ધોરણ 10 બાદ વંદનાને
સાયન્સ લેવાની ઇચ્છા હતી, જોકે પહેલેથી જ એકાઉન્ટસમાં રૂચિ હોવાથી તેણે
નડિયાદની ખાનગી કોલેજમાં કોમર્સમાં પ્રવેશ લીધો.કોમર્સમાં પ્રવેશ લીધા બાદ
તેને સી.એ. બનવાની ઇચ્છા થઇ. આ વાત તેણે માતા-પિતાને કરી. દીકરીની ઇચ્છાને
કાયમ શિરોમાન્ય રાખતાં માતા-પિતાએ સહર્ષ તેની આ વાતને માન્ય રાખી.
વંદના કહે છે કે દુનિયા ફેશ થવા અવનવા રસ્તા અપનાવે પણ હું ફ્રેશ થવા માતા-પિતા સાથે બેસતી હતી.
રોજના 12 કલાકના અભ્યાસ બાદ ફ્રેશ થવા માટે મહત્તમ સમય
માતા-પિતા સાથે બેસીને વાતો કરતી.
જ્યારે પણ
નિષ્ફળતાથી હતાશ થતી ત્યારે મોટી બેન અર્ચના હિંમત આપતી.કોઇપણ મૂંઝવણ હોય, અર્ચનાએ કાયમ મને સાચવી અને નિષ્ફળતામાંથી ફરી ઉભા
થવામાં મદદ કરી. સોશ્યલ મિડીયાનો ઉપયોગ માર્યાદિત માત્રામાં કરતી હતી. સોશ્યલ મિડીયાને ડિલીટ કરીને નહીં પણ સેલ્ફ કંટ્રોલથી
તેના ઉપયોગને બંધ કર્યો હતો.
વંદનાએ નિષ્ફળતાને સફળતાની સીડી બનાવી.નિષ્ફળતા બાદ માતા-પિતાની આંખમાં આવેલી ભિનાશથી તૂટી જવાને
બદલે વંદના વધુ મજબુત બની અને સીએને લક્ષ્ય બનાવ્યું અને તેમની માટે અંતે
અથાગ મહેનત બાદ સફળતા હાંસલ કરી.
હકીકત તો એ છે કે સફળતા નિષ્ફળતાની પાછળ
આવે છે. એટલેકે અનેક નિષ્ફળતા પછી જ સફળતા મળે છે. મોટાભાગના મહાન
માણસોને અનેક નિષ્ફળતાઓ પછીજ સફળતા મળી છે.
વંદનાને પૂછ્યું,તું યુવાનોને શું સંદેશ આપીશ?તે ત્વરાથી બોલી:
“માત્ર
એક જ વાત તમને તમારી સફળતાથી દુર રાખે છે અને તે છે નિષ્ફળતાનો ડર.જીવનમાં
ગમે તેટલી નિષ્ફળતા મળે પણ ધ્યેયને સામે રાખી નિરાશ થયા વિના આગળ વધતા
રહેવું જોઈએ.”
———-શૈલેષ રાઠોડ