ધારાસભ્ય મયુર રાવલે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરાવ્યો
કોરોના મહામારીના 9 મહિના બાદ રાજ્યમાં આનંદ અને ઉત્સાહ સાથે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરી રહ્યાં છે.વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર શાળાઓ શરૂ થયાનો આનંદ સ્પષ્ટ જોઈ શકાતો હતો. ખંભાત સહિત જિલ્લાની શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓએ સરકારની SOPનું પાલન કરી શાળામાં પ્રવેશ કર્યો હતો.
ખંભાતની શ્રી માધવલાલ શાહ હાઇસ્કૂલના આચાર્ય રોહિતભાઈ સુથારના જણાવ્યા મુજબ,કલાસ રૂમમાં વિદ્યાર્થીઓના પ્રાર્થના અને રાષ્ટ્રીય ગીતના કાર્યક્રમ બાદ શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું હતું. ધારાસભ્ય મયુરભાઈ રાવલના આવકાર-શુભેચ્છા મુલાકાત અને સંદેશ સાથે વિદ્યાર્થીઓએ આનંદભેર પ્રવેશ મેળવ્યો હતો. સ્કૂલમાં વિદ્યાર્થીઓનું થર્મલ ચેકીંગ અને સેનેટાઈઝ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ પણ ઉત્સાહ ભેર સ્કૂલમાં આવ્યાં હતાં.
શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલ ખંભાતમાં ધારાસભ્ય મયુર રાવલે વિદ્યાર્થીઓને આવકાર્યાં હતાં. તેમણે સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓને ગાઈડલાઈનનું પાલન કરાવ્યું હતું અને શાળામાં સાવચેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું.તેમણે સ્કૂલની વ્યવસ્થાની માહિતી મેળવી હતી.સ્કૂલોમાં આવેલા વિદ્યાર્થીઓ ઉત્સાહ ભેર શિક્ષણ કાર્યમાં જોડાયાં હતાં.આ પ્રસંગે શૈલેષભાઈ રાઠોડે કોરોના કાળમાં પણ કઈ રીતે શિક્ષણ કાર્ય કરી શકાઈ તેની માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.સી.જી પટેલે આભરવીધી કરી હતી.
40 ટકા વાલીએ સ્કૂલોને સંમતિ પત્ર આપ્યા હતા
આજથી ગુજરાત બોર્ડની સાથે જોડાયેલી મોટાભાગની સ્કૂલો શરૂ થઈ છે. પોતાના તરફથી કોઇ કમી રાખવા ન માગતા સંચાલકોએ સ્કૂલો શરૂ થતાં પહેલાં દરેક કલાસે સેનિટાઇઝ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથેની બેઠક વ્યવસ્થા સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. શિક્ષણ વિભાગે દરેક વાલી પાસેથી પોતાના સંતાન સ્કૂલે આવે તે માટેનું સંમતિપત્રક ફરજિયાત લેવાની સૂચના આપી હતી. વાલીની સંમતિ મુદ્દે સ્કૂલ સંચાલકોનું વલણ કડક રહ્યું છે. કારણ કે સંચાલકો કોરોના મહામારીમાં કોઇ વિવાદમાં પડવા માગતા નથી, તેથી તેઓએ વાલીને સ્પષ્ટ કહ્યું હતું કે બાળકને સ્કૂલમાં તો જ પ્રવેશ અપાશે જો વાલી સંમતિ આપશે. જો કે, માંડ 40 ટકા વાલીએ સ્કૂલોને સંમતિ પત્ર આપ્યા હતા.