ખંભાતના પતંગ એની ડિઝાઇન, કાગળ અને દર વર્ષે કંઇક નવી કલાત્મક કારીગરીને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ગુજરાત સહિત મુંબઈ, કોલકાતા, જયપુરમાં પણ ખંભાતી પતંગોની ડિમાન્ડ વધારે છે. ખંભાતના કારીગરો પતંગ વ્યવસાય થકી વર્ષે 4 કરોડોથી વધુનો બિઝનેસ કરે છે. પતંગ બિઝનેસ થકી 100થી વધુ પરિવારોને આખા વર્ષની રોજગારી મળી રહે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે અહીંની સ્થિતિ ખૂબ જ કપરી બની છે. પતંગનું માર્કેટ 50 ટકાથી ઓછું થઈ જતાં પરિવારોનું ગુજરાન અટકી પડ્યું છે. આ વિષય પર દિવ્યભાસ્કર દ્વારા અહીંના વેપારીઓ સાથે વાતચીત કરવામાં આવી અને હાલની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ વર્ષે કોરોના મહામારીને પગલે પતંગ વેપાર ઠપ થઈ ગયો છે.
ખંભાતમાં છેલ્લાં 15 વર્ષથી માત્ર પતંગ વેપારમાં જોડાયેલા વેપારી જગદીશભાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી પતંગ-દોરીની ડિમાન્ડ ગુજરાત તેમજ અન્ય રાજ્યોની સાથે સાથે કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં પણ ખૂબ જ વધારે છે. ખંભાતી પતંગોની વિવિધ એજન્સીઓ અને વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં એનો નિકાસ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે પતંગ વેપાર ઠપ પડ્યો છે. હાલમાં 50 ટકાથી ઓછો વેપાર થયો છે, જ્યારે પતંગના કાગળના ભાવમાં વધારો થતાં પતંગ મોંઘા પડી રહ્યા છે. માર્કેટ ડાઉન હોવાથી અહીંના નાના-મોટા વેપારીઓ કે જેમનું ગુજરાન પતંગના વેચાણથી ચાલે છે તેમને પણ ખાસી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોરોનાને પગલે 30 ટકાથી વધુ વેપાર અટકી જતાં બેરોજગાર બન્યા
સાથે જ લોકડાઉનને કારણે પતંગ બનાવવામાં વપરાતી લાખડીઓ પણ જરૂર પ્રમાણમાં મળી ન હતી, જ્યારે કેટલીક જગ્યા પર ડબલ ભાવમાં વેચાણ થતું હોવાથી મોટી મુશ્કેલીઓ પડી છે, સાથે જ ખંભાતમાં અંદાજે 1000થી વધુ લોકો પતંગના વેપાર સાથે જોડાયેલા છે, પરંતુ કોરોનાને પગલે 30 ટકાથી વધુ વેપાર અટકી જતાં બેરોજગાર બન્યા છે. જ્યારે લોકડાઉનને કારણે ફેક્ટરીમાં ભેગા ન થવા દેતાં મોટા ભાગના લોકો ઘરે બેસીને જ હાથેથી પતંગો તૈયાર કરીને મોકલી આપતા હતા. મશીનો બંધ હોવાથી સમયસર પતંગોનો જેટલો જથ્થો જોઈએ એટલો મળી શકતો ન હતો, સાથે જ હવે લોકો અમદાવાદ તેમજ નડિયાદ જેવાં શહેરોમાંથી જ પતંગોની ખરીદી કરી રહ્યા છે, જેને કારણે અહીંના વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે.
ખંભાતમાં અંદાજે 1000થી વધુ લોકો પતંગના વેપાર સાથે જોડાયેલા છે.
રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ખંભાતી પતંગની પુષ્કળ ડિમાન્ડ
ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, જંબુસર, ભરૂચ, રાજકોટ, આણંદ, નડિયાદ જેવાં શહેરોમાં ખંભાતી પતંગની પુષ્કળ માગ રહે છે. ખંભાતમાં વર્ષોથી પતંગ ઉત્પાદન સાથે સંકળાયેલા બિપિનચંદ્ર ચુનારાએ જણાવ્યું હતું કે પ્રાચીન નગરી ખંભાતમાં નવાબીકાળથી પરંપરાગત રીતે ઉત્તરાયણની ઉજવણી થાય છે. એક અંદાજ મુજબ, સુરતમાં ખંભાતની 70 લાખથી વધુ પતંગોનું વેચાણ થતું હોય છે. આ આંકડો મકરસંક્રાંતિ સુધીમાં એક કરોડને આંબી જાય છે.
ખંભાતના પતંગો હજારો કારીગરોને રોજગાર આપે છે
ખંભાતનગરના કારીગરોને પતંગ ઉત્પાદનની કલા તેમના વડીલો પાસેથી મળી છે. જોકે તેઓ દર વર્ષે કંઈક નવું કરવાની પોતાની ઈચ્છાશક્તિને કારણે પતંગોને અદ્યતન રૂપરંગ અને આકાર આપવામાં અનેરા ઉત્સાહી છે. આણંદ જિલ્લાનું ખંભાતનગર વર્ષોથી પતંગ ઉત્પાદનક્ષેત્રે પ્રખ્યાત છે. ખંભાતના પતંગ ઉદ્યોગનું વાર્ષિક 4 કરોડનું ટર્નઓવર છે. ખંભાતના ચુનારા અને મુસ્લિમ સમાજના લોકો મળી બાર હજાર ઉપરાંત કારીગરોને રોજગારી આપે છે.
ખંભાતમાં 12 જાતના પતંગો બને છે
ખંભાતમાં બાર જાતના અલગ-અલગ પતંગો બને છે. પતંગ આઠ પ્રકારની વિવિધ પ્રક્રિયામાંથી પસાર થાય છે. પતંગો માટે વાંસ વલસાડ અને આસામથી મગાવવામાં આવે છે. એમાંથી ઢઢ્ઢો અને કમાન તૈયાર કરાય છે. પતંગ હવામાં સ્થિર રહી શકે એ માટે વાંસને છોલી એનું કમાન તૈયાર કરાય છે. રાજ્યનાં અન્ય શહેરોની સરખામણીમાં ખંભાતી પતંગોના કાગળ ઉચ્ચ ગુણવત્તાવાળા જોવા મળે છે. એક કાગળમાંથી છ, ત્રણ, બે પતંગ બને છે. આ પતંગને અડધિયું, પાવલું, પોણિયું કે આખું કહેવાય છે, જ્યારે ચિલ, ઘેસિયો, ચાંપટ, ગોળ અને સૂર્ય પતંગો પણ વિવિધ કલરમાં ખંભાતમાં બનાવવામાં આવે છે.
શહેરોની સરખામણીમાં ખંભાતી પતંગોના કાગળ ઉચ્ચ ગુણવત્તાવાળા જોવા મળે છે.
વિદેશીઓ ખંભાતી પતંગો માટે 10 ગણો ભાવ આપે છે
વિદેશમાં ખંભાતી કલાત્મક પતંગની માગ વધુ હોવાથી ઘણીવાર મૂળ કિંમત કરતાં 10 ગણા વધારે ભાવે પતંગ વેચાય છે. જોકે જે ચિલ પતંગની કિંમત 5 રૂપિયા છે એ 50થી 60 રૂપિયામાં વેચાય છે. આફ્રિકામાં નૈરોબીસ્થિત વિવિધ સંસ્થાઓનાં મેદાનોમાં પતંગ ચગાવવામાં આવે છે. ઉત્તરાયણ પછીના પ્રથમ રવિવારે મેદાનોમાં ગ્રુપ પ્રમાણે ખાણી-પીણી સાથે પતંગની મોજ લૂંટવામાં આવે છે.
5 રૂપિયાથી લઈ 2 હજાર સુધીનો પતંગ મળે છે
ખંભાતની વિવિધ વેરાઇટીની પતંગો ગુજરાત ઉપરાંત અમેરિકા, આફ્રિકા, લંડન જેવા અનેક દેશોમાં જતી હોય છે. ખંભાતના પતંગોનું ફિનિશિંગ ગુજરાત અને અન્ય રાજ્યોમાં ખૂબ પ્રખ્યાત છે. અહીં બે ઈંચથી માડીને બાર ફૂટ સુધીના પતંગો મળે છે, જેની કિંમત પાંચ રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધીની હોય છે.
શહેરના કયા વિસ્તારમાં પતંગબજાર છે?
ખંભાતના મોટા ભાગના વિસ્તારોમાં પતંગબજારો આવેલાં છે. સ્ટેશન રોડ, ગવરા રોડ, ચકડોળ મેદાન તેમજ લાલ દરવાજા જેવા વિસ્તારોમાં પતંગના સ્ટોલ ઊભા કરવામાં આવે છે. પતંગના વેપારી બિપિન ચુનારાએ જણાવ્યું હતું કે ચુનારવાડ, અકબરપુર તેમજ લાલ દરવાજા વિસ્તારમાં કુલ 300થી વધારે જગ્યાએ પતંગ તથા ફિરકીનું વેચાણ થઈ રહ્યું છે.