ખંભાત તેમજ આસપાસના વિસ્તારમાં આવેલી દરિયાઈ પટ્ટીમાં સી વીડ પ્રોજેક્ટ હેઠળ ઘાસચારા, ફૂલો, દરિયાઈ ફળો જેવા પાકોનું વાવેતર કરીને જમીનનું ધોવાણ અટકાવવાનું સરકાર દ્વારા આયોજન કરાયું હતું. જેમાં ખેતીલાયક જમીનની અછતને પહોંચી વળવા માટે સરકારે રાજયના 1600 કિમી લાંબા દરિયાઈ રૂટ ઉપર ખેતીપાકોનું વાવેતર કરવાની પ્રક્રિયા આરંભી છે. આગામી દિવસોમાં ખંભાત તેમજ સમુદ્રકાંઠા ઉપર આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતીપાકોના વાવેતરનો પ્રારંભ થશે.
ધારાસભ્ય મયુર રાવલે જણાવ્યુ હતું કે,આણંદ જિલ્લાના ખંભાતના સમુદ્રપટ્ટી વિસ્તારમા જમીનના ધોવાણને અટકાવવા માટે અગાઉ ચેરના વૃક્ષોનું વાવેતર કરીને પુર નિયંત્રણ ઢાલ ઊભી કરાઈ છે. બીજી તરફ સી વીડ પ્રોજેક્ટ હેઠળ દરિયાકાંઠાના સ્થળો ઉપર ઘાસચારા, ફુલો જેવા વાવેતરની પ્રક્રિયા આરંભાઈ છે. સમુદ્રી પટ્ટી વિસ્તારની જમીનોના ધોવાણને નિયંત્રિત કરવા માટે દરિયાકાંઠાનો ઉપયોગ કરીને અમુક પાકોનું વાવેતર કરવાનો નિર્ણય લેવાયો છે. ગાંધીનગર કક્ષાએથી રાજ્યના કેટલાક વિસ્તારના ખેડૂતોને વાવેતર માટે સોલ્ટ એન્ડ મરીન ડિપાર્ટમેન્ટ ભાવનગર દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.