કોરોનાના દરદીની સારવાર કરી રહેલા રાજ્યમાં ડૉક્ટર્સ પણ પોતે કોરોનાના દરદી બની રહ્યા છે. આપણે વાત કરીશું એવા ડૉક્ટર્સની કે જેઓ કોરોનાના દરદીની સારવાર દરમિયાન પોતે કોરોનાના દરદી થયા અને સાજા થઈને ફરી પાછા દરદીની સારવારમાં લાગી ગયા.
અમદાવાદના મણિનગરમાં હૉસ્પિટલ ચલાવતાં ડૉ. ફાલ્ગુની અને ડૉ. પ્રજ્ઞેશ વોરાને દરદી દ્વારા જ કોરોનાનો ચેપ લાગ્યો હતો.
તેઓ એ દિવસોમાં કોરોનાગ્રસ્ત થયાં હતાં જ્યારે અમદાવાદમાં બજારો અને જનજીવન ઠપ હતાં, એટલે કે લોકડાઉન લાગુ હતું.
ઘરે બાળકો અને વડીલોને મૂકીને ડૉક્ટર દંપતી પોતે દરદી તરીકે હૉસ્પિટલમાં દાખલ થયું હતું.
આ દિવસો તેમના જીવનમાં ઉતારચઢાવભર્યા હતા. અંતે તેઓ કોરોના સામે જંગ જીતીને આવ્યાં હતાં.
કોરોનાની મહામારી હવે પહેલાં કરતાં ખૂબ વધી ગઈ છે. એ સ્થિતિમાં કોરોનામાંથી સાજા થયા બાદ તેમણે ફરી દરદીને જોવાનું પણ શરૂ કરી દીધું હતું.
ડૉ. પ્રજ્ઞેશ વોરા બીબીસીને કહે છે કે “16 એપ્રિલે મને હળવો તાવ આવ્યો અને 17 એપ્રિલે મારાં પત્ની ડૉ. ફાલ્ગુનીને પણ હળવો તાવ આવ્યો હતો. 18 એપ્રિલે ટેસ્ટ કરાવ્યો તો અમે બંને કોરોના પૉઝિટિવ હતાં.”
“સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) હૉસ્પિટલમાં અમે દાખલ થયાં હતાં.”
“એ વખતે લૉકડાઉનનો તબક્કો હતો. બધું બંધ હતું. એવા સમયે મારે અને પત્નીએ બાળકો અને વડીલને ઘરે મૂકીને હૉસ્પિટલમાં દાખલ થવાનું હતું. તેથી એ સમયગાળો દોડધામભર્યો અને ચિંતાજનક હતો.”
“બધું બંધ હોવાથી ખોરાકથી લઈને અન્ય સગવડો બાળકો અને વડીલો કઈ રીતે પૂરી કરશે એ સવાલ સતાવતો હતો.”
આ વાતમાં સૂર પૂરાવતાં ડૉ. ફાલ્ગુની કહે છે કે “ભલું થજો અમારા મિત્રો અને સંબંધીઓનું. અમે હૉસ્પિટલમાં હતાં ત્યારે ઘરની તમામ જવાબદારી અને સગવડો તેમણે સાચવી હતી.”
“સંબંધીઓ ટીમ બનાવીને રોજેરોજ ભોજનથી માંડીને તમામ જરૂરી વસ્તુઓ ઘરે પહોંચતી કરતા હતા.”
ડૉ. ફાલ્ગુની વોરા કહે છે કે “હું ભલે ડૉક્ટર હોઉં પણ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો એટલે પહેલાં તો ડર જ લાગ્યો હતો.”
“અમે હૉસ્પિટલમાં દાખલ થયાં એ પછી જે પ્રકારનો ધમધમાટ હતો, તેમજ વૉર્ડમાં આસપાસ કોરોનાના દરદીઓને જોઈને ગભરામણ તો થઈ જ હતી.”
તેઓ કહે છે કે “બે-ત્રણ દિવસ મનમાં બેચેની રહી હતી. અમને કોઈ તીવ્ર લક્ષણો નહોતાં એટલે ધરપત હતી કે વાંધો નહીં આવે. એક્સ-રે અને લોહીનો રિપોર્ટ કઢાવ્યો એ પછી અમે રિલેક્સ થયા કે બધું નૉર્મલ છે.”
“બીજા દિવસથી અમે એચસીજી હૉસ્પિટલમાં દાખલ થયાં હતાં.”
ડૉ. પ્રજ્ઞેશ વોરા કહે છે કે “મને અને ફાલ્ગુનીને કોરોના થયો એને લીધે સૌથી વધુ અમારાં માતાપિતા ગભરાઈ ગયાં હતાં. અમને હળવાં લક્ષણ હતાં, પણ તેમને બીક હતી કે ઘરે પાછા ક્યારે આવશે? કોરોનાના હાઉને લીધે તેઓ ગભરાઈ ગયાં હતાં.”
“અમને બીક એ હતી કે ઘરનાં બાળકો તેમજ વડીલોને પણ કદાચ કોરોના થયો હશે તો? અમે હૉસ્પિટલમાંથી પણ તેમને સતત ફોન કરીને પૂછ્યા કરતા હતા કે ઉધરસ કે ગળામાં બળતરા કે એવું કાંઈ નથી ને?”
“અમે પરિવારજનોના ટેસ્ટ પણ કરાવ્યા હતા. સદનસીબે પરિવારમાં તો અન્ય કોઈ પૉઝિટિવ ન આવ્યા.”
અમે ફરજ પર જોડાઈ ગયાં’
ડૉક્ટર દંપતી 18 એપ્રિલે કોરોના પૉઝિટિવ થયા બાદ હૉસ્પિટલમાં દાખલ થયું હતું.
બંનેનો રિપોર્ટ નૅગેટિવ આવ્યા પછી આઇસોલેશન તબક્કો પૂરો કરીને 29 એપ્રિલે ઘરે આવ્યાં હતાં. ઘરે આવીને પણ 15 દિવસ એકાંતવાસ એટલે ક્વૉરેન્ટીન રહ્યાં હતાં.
એ પછી ફરી હૉસ્પિટલ શરૂ કરવા અંગે મનમાં કોઈ અવઢવ હતી?
આ સવાલના જવાબમાં ડૉ. પ્રજ્ઞેશ કહે છે કે “હા, એ વખતે શરૂઆતમાં થોડી હિંમત નહોતી થતી. જોકે 10 મે પછી અમે હૉસ્પિટલ શરૂ કરી અને 15 મેથી મેં વિધિવત્ નિદાન-સારવાર વગેરે શરૂ કરી દીધાં હતાં.”
“એક જૂનથી ડૉ. ફાલ્ગુનીએ હૉસ્પિટલમાં કામકાજ શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં સવારે જ હૉસ્પિટલ શરૂ રાખતા હતા. પછી ધીમેધીમે સવાર-સાંજ બંને સમય હૉસ્પિટલ શરૂ કરી હતી.”
આ વાતનો તંતુ જોડતાં ડૉ. ફાલ્ગુની કહે છે કે “અમે ઘરે આવી ગયાં પછી અમારા ઘણા દરદીના નિદાન અને સારવારને લગતાં ફોનકૉલ્સ અને મૅસેજ આવતા હતા.”
“અમારા કોઈ દરદી ફોન કરે તો અમે જવાબ આપતાં જ હતાં. ફોનકૉલ્સ વગેરે ખૂબ વધી ગયા પછી એક તબક્કે લાગ્યું કે હવે તો હૉસ્પિટલ શરૂ કરવી જ પડશે.”
“એ પછી અમે ફરી ડૉક્ટર તરીકે ફરજમાં જોડાઈ ગયા હતા.”