-શૈલેષ રાઠોડ
શાળાના રંગમંચને શિક્ષણનું દર્પણ બનાવવું જોઈએ.રંગભૂમિના માધ્યમથી શિક્ષણમાં વિષયવસ્તુની આનંદમય રીતે સમજ,સંસ્કૃતિ અને સભ્યતાનું આદાન પ્રદાન કરી શકાય છે.વિશ્વ રંગમંચ દિવસ ની ઉજવણી દર વર્ષે ૨૭મી માર્ચ ના રોજ કરવા માં આવે છે ત્યારે પ્રત્યેક શાળા અને શિક્ષકે શાળાના રંગમંચને નાટ્ય પ્રવૃત્તિ દ્વારા કેવી રીતે શિક્ષણનું ઉત્તમ માધ્યમ બનાવાય તે માટે પ્રયાસો હાથ ધરવા જોઈએ.
યાદ રાખીએ,જે કૃતિ બાળકની કલ્પનાને ઉત્તેજે વિકસાવે અને જીવનને સંસ્કારે તે બાળ નાટક.ભારતમાં પ્રાચીનકાળથી જ નાટ્ય પરંપરા રહી છે. ભારતના વિવિધ ભાષા પ્રેમીઓ પોતાની માતૃભાષામાં નાટ્ય પ્રસ્તુતિયો કરતા આવ્યા છે.હિન્દી ઉપરાંત ભારતમાં ગુજરાતી, મરાઠી, બંગાળી, ઉડિયા, ભોજપુરી, સંસ્કૃત, અંગ્રેજી જેવી અનેક ભાષાના નાટકોનું એક ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે.આ ઈતિહાસમાં બાળ નાટકોનું પણ વિશેષ મહત્વ છે.
કોઈપણ ઐતિહાસિક વ્યક્તિની ભૂમિકા પસંદ કરીને ઐતિહાસિક પ્રસંગની નાની નાટિકાઓ વિદ્યાર્થીઓ ભજવે,એ નાટ્યીકરણ થયું કહેવાય. અનુકરણ અને અભિનય કરવાની વૃત્તિ વિદ્યાર્થીઓમાં નાનપણથી જ જોવા મળે છે. સૈનિક, શિક્ષક, નેતા, મદારી, ફેરિયો વગેરેની નકલ બાળકો ખૂબ સહજતાથી કરે છે. બાળકોની આ વૃત્તિનો લાભ ઉઠાવીને સામાજિક વિજ્ઞાનનું જ્ઞાન આપવાની રીત એટલે નાટ્યીકરણ.બાળકોને નાટક જોવાં અને ભજવવાં ગમે છે, તેથી મનોવૈજ્ઞાનિક આધાર પર રચાયેલી આ પદ્ધતિ વિદ્યાર્થીકિન્દ્રી પદ્ધતિ છે.આ પદ્ધતિના વિનિયોગથી ઇતિહાસ શિક્ષણ જીવંત, રસપ્રદ અને અસરકારક બની જાય છે.
બાળ નાટક જ્ઞાન સાથે ગમ્મત જેવું હોવું જોઈએ. બાળકનું વ્યક્તિત્વ વિકસાવે સંસ્કાર કેળવે અને આનંદ પ્રાપ્તિ કરાવે.નાટક દ્વારા શિક્ષણથી બાળક સત્ત્વસીલ, શિસ્ત બદ્ધ બને છે. ગીત સંગીત નૃત્ય કવિતા જોડકણા ની સાથે સાથે જ્ઞાનની વાતો પીરસવી જોઈએ.
રંગમંચનો ઉપયોગ અને નાટકની બાળકો પર અસર
(1) વિદ્યાર્થીઓની સ્મરણશક્તિ કેળવાય છે.
(2) વિદ્યાર્થીઓમાં સંવેગમય અને સંવેદનશીલ વલણો વિકસે છે.
(3) સામાજિક વિજ્ઞાનની ઘટનાઓ, પાત્રો અને પ્રસંગો યાદ રાખવા સરળ બની જાય છે.
(4) વિદ્યાર્થીને વાચિક અને અંગિક અભિનયની તક મળે છે, જેથી તેની ઉચ્ચારશુદ્ધિ, હાવભાવ અને વાણી કેળવાય છે.
(5) વિદ્યાર્થીઓને જૂથમાં સહકારથી કામ કરવાની ટેવ પડે છે,પરિણામે તેમનામાં સામાજિકતા વિકસે છે.
(6) ભૂતકાળ મૂર્ત સ્વરૂપે વર્ગખંડમાં પ્રગટ થાય છે.
(7) આ પદ્ધતિથી વિદ્યાર્થીઓ સ્વાનુભવ દ્વારા વિષયવસ્તુ શીખે છે.
(8) વિદ્યાર્થીઓની મૌખિક અભિવ્યક્તિ વધુ કેળવાય છે, જેથી સર્વાગી વિકાસ માટે અનુભવો મળે છે.
(9) બાળકોમાં રહેલો રંગમંચીય ભય (stage fear’) દૂર થાય છે અને આત્મવિશ્વાસ વધે છે.
(10) વિદ્યાર્થી કુશળ વક્તા બની શકે છે.
(11) વિદ્યાર્થી જે-તે પાત્રો કે પ્રસંગો સાથે તાદાભ્ય સાધી આત્મસાતુ કરે છે.
વર્ગખંડમાં મૂલ્ય આધારિત નાટકો ભજવવા શિક્ષકે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. પોતાના વિષયને રસપ્રદ બનાવવા માટે શિક્ષકની જવાબદારી બને છે કે તે નાટ્ય જેવી શૈલીનો ઉપયોગ કરી બાળકને શિક્ષણ તરફ દોરી જાય. નાટક ભારેખમ કે કંટાળાજનક ન હોવું જોઈએ. રમેશ પારેખ જેવા ગુજરાતી સાહિત્યના લેખકે લખેલા બાળ નાટકો નો ઉપયોગ કરી શકાય છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)એ પોતાના થિયેટર ઈન એજ્યુકેશન વિભાગ દ્વારા બાળ નાટકો તૈયાર કર્યા છે.
રંગમંચનો ઉપયોગ મનોરંજન સાથે શિક્ષણ માટે પણ થવો જોઈએ.પાઠ્યપુસ્તકમાં સામેલ પ્રકરણના વિષય અનુરૂપ નાટકો રંગમંચ ઉપર ભજવાય તે જરૂરી છે. રંગમંચ સર્વ વિદ્યા અને કળા નું ધામ છે. બધા જ્ઞાનની તેમાં અવકાશ છે.
કેવી રીતે શૈક્ષણિક નાટકો લખી શકાય?
જો શિક્ષકે કૃષ્ણ – સુદામા પાઠનું અધ્યાપન નાટ્યકરણ દ્વારા કરવું હોય તો નીચે જણાવ્યા પ્રમાણે કાર્ય કરવું પડે.
1) સૌપ્રથમ પાઠનું નાની નાટિકામાં રૂપાંતર કરવું. પાત્રો અને સંવાદોની રચના કરવી.
(2) વિદ્યાર્થીઓને અનુકૂળ પાત્રો વહેંચવા અને સંવાદ તૈયાર કરવા આપવો.
(3) પાત્રાનુરૂપ વેશભૂષા અને જરૂર જણાય તો રંગમંચની વ્યવસ્થા કરવી.
(4) નાટિકામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને વાચિક અને આંગિક અભિનયમાં માર્ગદર્શન આપી પૂર્વતૈયારી કરી લેવી.
(5) કૃષ્ણ-સુદામા નાટિકા માટે કૃષ્ણ–સુદામા, દ્વારપાળ, નગરજનો, સુદામાં પત્ની, રુક્મણિ, સત્યભામા વગેરે પાત્રો રહેશે. વિદ્યાર્થીઓ આ પાત્રોનો અભિનય કરશે.
(6) નાટિકા માટે જરૂરી સાધનસામગ્રી જેવી કે – તાંદુલની પોટલી, બાજઠ, ચામર, થાળ, પાણીનો ઘડો, ભોજનનો થાળ વગેરે લાવવાં.
ગીજુભાઈ બધેકા બાળકોને “નાના દેહમાં રહેલા વિરાટ આત્મા” તરીકે ઓળખાવી તેને ચરિતાર્થ કરવા પ્રમાણિકતાથી હસતા રમતા લીલા રચાવતા, એ જ બાળ રંગભૂમિનો પાયો હતો. ‘મુછાળી માં’તરીકે જાણીતા સ્વર્ગસ્થ ગીજુભાઈ બધેકાની નવલકથા ‘દીવાસ્વપ્ન’પર આધારિત નાટક બાળકો જોડે તૈયાર કરાવ્યું હતું.તેના લગભગ ચારથી પાંચ પ્રયોગો સુરત,ભાવનગર, અમદાવાદ,ગાંધીનગર અને વડોદરામાં યોજાયા હતા. આ નાટક બાળકોને વિશેષ રસ પડે તેવાં છે. તેમાં જોડકણા ગીતો નૃત્ય ગરબા અને સાથે શિસ્તની,શિક્ષણની અને જ્ઞાનની વાતો પણ છે. દિવાસ્વપ્ન ‘જ્ઞાન સાથે ગમ્મતનું’ એક સુંદર ઉદાહરણ છે. બાળકોને પ્રાચીન તેમજ અર્વાચીન આદર્શ પાત્રોની સમજ આપી શકાય છે.
ઇતિહાસની સમજ આપતા બાળ નાટકો શિક્ષક સ્વયં લખી વિદ્યાર્થીઓને રંગમંચ પર લઈ જઈ રજૂ કરી શકે છે. ગાંધીજી હિન્દુસ્તાન આવ્યા ત્યાંથી લઈ દાંડીકૂચ અને અન્ય આઝાદીના આંદોલનો નાટક દ્વારા રજૂ કરી ઇતિહાસની સુંદર સમજ આપી શકાય છે.
વૈજ્ઞાનિકોના જીવન કવન અને સંશોધનોની પણ નાટક દ્વારા સમજ આપી શકાય છે. ભારેખમ વિષયોને હળવા બનાવવા માટે રંગમંચ એક ઉત્તમ માધ્યમ છે. બાળકોની વય રસ રુચિ વલણને અનુરૂપ શિક્ષક નાટક લખી ભજવાવે તો તે સૌને ગમે. બાળ નાટ્ય શિબિરમાં શિક્ષકે ભાગ લઈ નાટક લખવાની તાલીમ મેળવવી જોઈએ.
રવીન્દ્રનાથ ટાગોર વિશે વાત કરતા હોય ત્યારે તેમની વાર્તા “બોલતો પોપટનું” સુંદર બહાર નાટક બની શકે. નાટક લખીએ ત્યારે કૃતિનું સ્વરૂપ બાળકને સમજાય તેવું સરળ હોવું જોઈએ. શરૂઆત, પ્લોટ, વિષય વસ્તુ સમાવેશન, ક્રાઈસીસ, ક્લાઇમેક્સ, ઉપાય.. આ મુદ્દાઓનું લેખકે બાળ નાટક લગતી વખતે ધ્યાન રાખવું જોઈએ.
કઈ બાબતોનું ધ્યાન રાખવું?
1) શિક્ષકે નાટય લેખન માટે પૂર્વ આયોજન કરી લેવું.
(2) પાઠના વિષયવસ્તુની સ્ક્રિપ્ટ શિક્ષકે બાળકોની મદદથી તૈયાર કરવી.
(3) જરૂર જણાય તો તૈયાર થયેલી નાટિકાનું એકાદ – બે વખત શાળા સમય બાદ રિહર્સલ ફરાવવું
(4) પોશાક અને જરૂરી સામગ્રી મેળવવા વિદ્યાર્થીઓનો સહયોગ મેળવવો.
(5) જરૂરી તાલીમ અને માર્ગદર્શન વિદ્યાર્થીઓને પૂરા પાડવાં.
(6) વયકક્ષા પ્રમાણે સંવાદ રચનાની આવડત અને સર્જનશક્તિની અપેક્ષા શિક્ષક પાસે રહે છે.
(7) વિદ્યાર્થીની વયકક્ષા પ્રમાણે સંવાદ રચના કરવી જોઈએ.
(8) નાટિકાના સંવાદો શુદ્ધ, વિદ્યાર્થીઓની કક્ષા પ્રમાણે હોવા જોઈએ.વર્ગ સમક્ષ મૂકી શકાય એટલી જ વિષયવસ્તુવાળા સંવાદો હોવા જોઈએ.
શિક્ષકે નાટ્ય લેખન અંગે વાર્ષિક આયોજન કરી કયા પ્રકારનું સંદર્ભ નાટક નાટક રજૂ કરી શકાય તે તૈયાર કરવું જોઈએ. વાર્ષિકોત્સવમાં પણ શિક્ષકો દ્વારા પાઠ્યપુસ્તક આધારિત લખાયેલા નાટકો રજૂ કરી અનોખો અભિગમ સમાજ સમક્ષ મૂકવો જોઈએ.
લેખન કાર્ય ઉત્કૃષ્ઠ બને તે ખુબ જ જરૂરી છે.અહી સ્વર્ગસ્થ ગીજુભાઈ બધેકાએ દીવા સ્વપ્નમાં જે પ્રયોગ કર્યો છે તે અહીં રજૂ કરું છું.
સોનલ : અમદાવાદ એ મિલો મોટીને, ઝૂલતા બેઉ મીનારા,
જાડી સીદી સૈયદની ને તળાવ મોટું કાંકરિયા.
સાબરમતીમાં ગાંધી આશ્રમ વાત જ એની જુદી,
જ્યાં સત્યાગ્રહને આઝાદીની નવતર લડતો જાગી.
બીજલ : વડોદરા નો ચેવડો ને સુરતની તો ઘારી,
જ્યાં વળોતો નદીઓ મોટી મહી,નર્મદા,તાપી.
આમ સુંદર ગીતો સાથે જ્ઞાન મળે છે,બાળકને મજા પડે છે.
બાળ નાટકો લખતી વખતે રમુજ ઉમેરવી જરૂરી છે. વિષયને રસપ્રદ બનાવવા તેમાં રમતો અને ગીતો સામેલ કરી શકાય. જેમ કે –
” ગોળ ગોળ ધાણી,
એ દરવાજા તોડુંગા,
દંડા લે કે મારુંગા”
” ટામેટું રે ટામેટુ
નદીએ નાવા જાતું તું
ઘી ગોળ ખાતું તું
ખાતા ખાતા પકડાઈ ગયું.”
આનંદની વાત એ બની કે આઇઆઇટીઇએ શરૂ કરવા ધારેલા 51 ઓનલાઇન સર્ટિફિકેટ કોર્સીઝમાં ‘ડ્રામા ઇન એજયુકેશન (નાટક દ્વારા શિક્ષણ)’ નો સમાવેશ થયો. આ ગવર્મેન્ટ ટીચર એજયુકેશન યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલો કોર્સ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના આ નિયમ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સમાં કોઇ પણ શિક્ષક કે અધ્યાપક, તાલીમાર્થી કે ધો. 12 પાસ કરેલો કોઇ પણ વિદ્યાર્થી ભાગ લઇ શકે છે. કોર્સ પૂર્ણ થયે અને તેની પરીક્ષા પાસ કર્યા બાદ તેમને યુનિવર્સિટી દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. કોર્સના વિષયવસ્તુમાં નાટક અને શિક્ષણનાં અધ્યયન – અધ્યાપનનાં ઘણાં પાસાંનો સમાવેશ કરવામાં આવ્યો છે.
———————————————————
લેખકશ્રી શિક્ષણ ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક મેળવનાર,લેખક,વક્તા,કર્મશીલ પત્રકાર છે.
શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલ,khambhat
બી.૧૫,સેફ્રોન વિલા,મિશન રોડ,નડિયાદ-૩૮૭૦૦૨ મો-૯૮૨૫૪૪૨૯૯૧