સવાયા ગુજરાતી ફાધર વાલેસ
” આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાંક જો જોવા મળે તો તમે એક નવી શોધ કરી છે એમ માનજો.”-ફાધર વાલેસ
વાલેસ કાર્લોસ જોસેફ (૪ નવેમ્બર, ૧૯૨૫ – ૨૦૨૦), જેઓ ફાધર વાલેસ તરીકે જાણીતા હતા, ગુજરાતી સાહિત્યકાર હતા.ફાધર વાલેસ ફક્ત ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ-વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતી સાહિત્ય વંચાતું હશે એ દરેક જગ્યાએ એક સન્માનીય અને પ્રિય લેખક તરીકે અનોખું વ્યક્તિત્વ ધરાવે છે.એમનું જીવન પણ એમના સાહિત્ય જેટલું જ રસપ્રદ અને પ્રેરણાદાયી છે.એમના ચિંતનાત્મક નિબંધોમાં મુખ્યત્વે જીવનઘડતર અને સંસ્કાર ઘડતરનું લક્ષ્ય હોય છે. ‘ગુજરાત સમાચાર’માં આવતી ‘નવી પેઢીને’ ખૂબ લોકપ્રિય બની હતી.
સરલ ગદ્યમાં અનોખી અભિવ્યક્તિઓ એમના લખાણની વિશેષતા છે.ભાષાના ઢોળ વિના સીધી સરળ રજુઆત તેમના લેખોમાં જોવા મળે.દંભ વિનાનું પારદર્શક અને પથદર્શક લખાણ.સવાયા ગુજરાતી સારસ્વત ફાધર વાલેસનું એમના વતન સ્પેન ખાતે લગભગ 95 વર્ષની વયે નિધન થયું છે.તેઓ ઢળતી ઉંમરે માતાની સેવા માટે સ્પેન ગયા હતા અને ત્યાં જ રોકાયા હતા.એક આદર્શ અને સહુનો માનીતો જીવનદીપ બુઝાઈ ગયો.ફાધર વાલેસે એમની જિંદગીનાં પ્રથમ ૨૪ વર્ષ એમના જન્મના વતન સ્પેનમાં ગાળ્યાં અને એ પછીનાં ૫૦ વર્ષ ભારતમાં અને એ પણ મહત્તમ અમદાવાદમાં ગાળ્યાં હતાં.
ફાધર વાલેસ સન ૧૯૪૯માં એક કેથલિક મિશનરી તરીકે ભારતમાં આવ્યા અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ૪૦ વર્ષ સુધી ગણિતના વિષયના વિદ્યાર્થીઓમાં ખુબ જ પ્રિય પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.સને ૧૯૯૯ માં શિક્ષણ કાર્યમાંથી નિવૃત્તિ લઈને હમ્મેશ માટે પોતાના મૂળ વતન માડ્રીડ,સ્પેન પાછા ગયા ત્યાં સુધીના પુરા ૫૦ વર્ષ પુરેપુરી રીતે પ્રવૃતિમય જીવન ગાળીને ગુજરાતીઓ સાથે સમરસ થઇ સવાઈ ગુજરાતી થઇ બધે સવાઈ ગયા હતા.”ગુજરાતીને તમે માતૃભાષા ગણો છો ને પોતાના વતન સ્પેન જાવ ત્યારે પરદેશ જાવ એમ કહો છો” એવું સ્વ. ઉમાશંકર જોષીએ એમના માટે કહેલું ! ગુજરાત સમાચારમાં એમણે ‘ઘેર ઘેર સોનાના ચૂલા’ નામથી માટીવાળી કહેવત ઉલટાવીને કટાર લખેલી, સામાન્ય ગુજરાતીઓની હ્યુમન સ્ટોરીઝની.ઝેવિયર્સમા ગણિત ભણાવતા હોવા છતાં એમણે ગુજરાતી વ્યાકરણનું અદભુત પુસ્તક લખેલું.યુવાનો તેમના સાહિત્યના સૌથી વધુ ચાહક.
તેમને વર્ગખંડમાં સાંભળવા એક લ્હાવો. પોતે સંયસ્ત વ્રત લીધેલા છતાંય એમણે લખેલું ‘લગ્નસાગર’ પુસ્તક ગુજરાતમાં સૌથી વધુ નવદંપતીઓને ભેટમાં અપાયું છે,બેસ્ટસેલર છે. “ જિંદગીમાં સતત પ્રવૃત રહેલા માણસ માટે નિવૃત્તિ જેવો કોઈ શબ્દ જ અસ્તિત્વ ધરાવતો નથી.પોતાની નોકરીમાંથી નિવૃત્તિ પછીનો સમય જ્ઞાનપિપાસુ માટે તો એક સુવર્ણકાળ છે.”-ફાધર વાલેસ
જન્મ:નવેમ્બર ૪, ૧૯૨૫લોગ્રોનો,સ્પેન,મૃત્યુ:૨૦૨૦,સ્પેન,ઉપનામ:ફાધર વાલેસ
વ્યવસાય:અધ્યાપક,
લેખક:ભાષાગુજરાતી, અંગ્રેજી, સ્પેનિશ
રાષ્ટ્રીયતા:ભારતીય અને સ્પેનિશ,
નોંધપાત્ર પુરસ્કારો:રણજિતરામ સુવર્ણચંદ્રક
અભ્યાસ:૧૯૪૧માં તેમણે એસ.એસ.સી., ૧૯૪૫માં સલામાન્કા યુનિવર્સિટીમાંથી ગ્રીક વિષય સાથે બી.એ. ૧૯૪૯માં ગ્રેગોરિયન યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષય સાથે બી.એ., ૧૯૫૩માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો.૧૯૬૦ થી ૧૯૮૨ સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં તેઓ ગણિતશાસ્ત્રના અધ્યાપક રહ્યા હતા.
સર્જન:એમનાં લખાણોમાં સરલ ગદ્યની કેટલીક નોખી અભિવ્યક્તિઓ એમના હાથે સહજ બની છે.જીવન ઘડતર ના ધ્યેયથી સદાચાર (૧૯૬૦), તરુણાશ્રમ (૧૯૬૫), ગાંધીજી અને નવી પેઢી (૧૯૭૧), ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય વગેરે સંખ્યાબંધ નિબંધસંગ્રહો એમણે આપ્યાં છે. ઉપરાંત એમણે ભાષાના વ્યવહારમાં શબ્દોના વિનિયોગ વિશે ચિંતન કરતો ગ્રંથ શબ્દલોક (૧૯૮૭) પણ આપ્યો છે.તેમનું સર્જન નીચે પ્રમાણે છે:૧૯૬૦ તરુણાશ્રમ,૧૯૬૫ ગાંધીજી અને નવી પેઢી,૧૯૭૧ શબ્દલોક,૧૯૮૭ વાણી તેવું વર્તન,૨૦૦૯ પ્રસન્નતાની પાંખડીઓ,વ્યક્તિ ઘડતર,જીવન ઘડતર, સમાજ, ઘડતર,કુટંબમંગલ,વ્યક્તિમંગલ,ધર્મમંગલ,જીવનમંગલ,સમાજમંગલ,શિક્ષણમંગલપુરસ્કારો:૧૯૬૬ – કુમાર સુવર્ણ ચંદ્રક૧૯૭૮ – રણજિતરામ સુવર્ણચંદ્રક————–
તેમના વિશે વિશેષ તેમનાં શબ્દોમાં:
”મેં જિંદગીમાં એક મોટી ભૂલ કરી છે, જેનું પૂરું ભાન હમણાં હમણાં મને થવા માંડ્યું છે. કૉલેજમાં ભણાવવા માટે મેં ગણિતનો વિષય લીધો, એ જ ભૂલ. જોકે ખરું જોતાં મેં એ લીધો નહીં, મારી પાસે લેવરાવ્યો. મારું આજ્ઞાપાલનનું વ્રત છે, એટલે સંઘના ઉપરીઓ મને આજ્ઞા કરે એ પ્રમાણે મારે વર્તવાનું હોય છે; એટલું જ નહીં પણ એમની આજ્ઞા ભગવાનની આજ્ઞા છે એમ સમજીને પાળવાની છે, અને એમાં કોઈ ભૂલ હોય તો ભગવાન એ સુધારશે અને વાંકાને સીધું બનાવશે એવી શ્રદ્ધા રાખવાની છે.મેં સ્પેનમાં ગ્રીક ભાષામાં અને તત્વજ્ઞાનમાં ડિગ્રીઓ મેળવી હતી, એટલે ભારતમાં આવીને કૉલેજમાં ભણાવવા મારે બીજી ડિગ્રી લેવાની હતી ત્યારે હું સંસ્કૃત અથવા ગુજરાતી લઉં તો સારું એવી નમ્ર સૂચના મેં કરી. તોય કૉલેજ તો અમદાવાદમાં થવાની હતી; અમદાવાદમાં સંસ્કૃતના અને ગુજરાતીના ઉત્તમ અધ્યાપકો મળી શકે, જ્યારે ગણિતનો વિષય તો અઘરો છે અને અગત્યનો છે, માટે એની ખાતરી કરવા માટે વિશ્વાસના માણસને ત્યાં બેસાડીએ એ ખ્યાલથી મને મદ્રાસ યુનિવર્સિટીમાં ગણિત લેવાનું કહ્યું. આજ્ઞા માથે ચડાવીને મેં ગણિત લીધું અને વર્ષો સુધી નિષ્ઠાથી ને ઉત્સાહથી કૉલેજમાં ભણાવ્યું. હવે, ઉપરીઓની આજ્ઞા કામ તો કરાવી શકે, પણ મનની રુચિ બદલાવી ન શકે.મારા મનમાં સાહિત્ય, ભાષા, શબ્દો માટેની રુચિ હતી તે એમ ને એમ રહી.
મેં ગણિતને બદલે ગુજરાતી અથવા સંસ્કૃત લીધું હોત તો મારી એ કુદરતી રુચિ ખીલી જાત અને આખી જિંદગી એ પ્રિય વિષયની પાછળ આપી શકત. ગણિતની ફરજ તો પાળી, પણ પહેલી જ તકે રાજીનામું આપ્યું અને દબાયેલ સાહિત્યના શોખને બહાર આવવા દીધો. ભગવાન ઉપરીઓની ભૂલો સુધારે છે કે કેમ એ ખબર નથી, અને ભૂતકાળની સાથે ઝઘડવામાં માલ નથી એ વાત નક્કી, માટે હું વસવસો રાખતો નથી ને કોઈને દોષ દેતો નથી; પણ મને ગણિત લેવરાવવાનો નિર્ણય ખોટો હતો એ પણ સંકોચ વગર કહું છું.
મારો વિચાર કરું ત્યારે મારે માટે નવાઈની વાત એ છે કે આ વાત આટલી સ્પષ્ટ હોવા છતાં વર્ષો સુધી હું એ જોવા, સમજવા, સ્વીકારવા તૈયાર નહોતો, અને હમણાં હમણાં જ એ મને દેખાઈ અને એ કબૂલ કરવાની હિંમત આવી. મેં ભૂલ કરી છે, મારાં જીવનનાં ઉત્તમ વર્ષો ખોટા વ્યવસાયમાં ખર્ચાયાં, બીજું ક્ષેત્ર મેં પસંદ કર્યું હોત તો કંઈક વધારે કરી શકત – એ સ્વીકારવાની ઈચ્છા નથી. માટે ભૂતકાળનો બચાવ થાય, ગણિતનો નિર્ણય સાચો હતો એમ શ્રદ્ધાથી કહેવાય, એથી અનેક લાભ મળ્યા છે એની ખાતરી અપાય, ઉપરીઓને, આજ્ઞાપાલનને, સંસ્થાને, પોતાની જાતને, સૌને સારું લગાડવાનો પ્રયત્ન થાય. પ્રયત્ન વ્યર્થ છે. ધર્મનો ગમે તેટલો ઓપ ચડાવાય તોય હકીકત તે હકીકત. અને ભૂલ તે ભૂલ. એ જોતાં મને બહુ વાર લાગી. એથી કોઈ રોષ નહીં ને અફસોસ નહીં. મારું જીવન જેવું છે અને મારો ભૂતકાળ જેવો બન્યો તેવાં જ સ્વીકારું છું.
સાથે સાથે એ કહેવાની ચોકસાઈ રાખું છું કે મારે માટે ગણિતના માર્ગ કરતાં સાહિત્યનો માર્ગ વધારે યોગ્ય હતો.ગણિતમાં મઝા નથી પડી, એમ નથી. હા, અને સાહિત્ય લીધું હોત તો કદાચ અણધાર્યાં વિધ્નો આવત અને આટલી સફળતા ન પણ મળત. સંભવ છે. પણ રસનો વિષય તો મળ્યો હોત, અને રસ તો જબરો કામ કરાવનાર છે. મને ભાષાઓ ગમે છે, સાહિત્ય ગમે છે, વ્યાકરણ ગમે છે, શબ્દો જ ગમે છે. જિંદગીના લાંબા ગાળા પછી મન મૂકીને શબ્દોની પાસે આવી શકું અને એમની મૈત્રી પૂરા દિલથી માણી શકું એ મારો અત્યારનો એક ધન્ય અનુભવ છે.ફાધર વાલેસ
ફાધર વાલેસની માતૃભક્તિ
આજીવન પ્રાધ્યાપક,લેખક અને ઉપદેશક એવા સ્પેનિશ મૂળના પરંતુ ગુજરાતમાં રહી સવાઈ ગુજરાતી બની ગયેલ ફાધર વાલેસને નિવૃત્તિ લીધા પછી કયા કારણે વતન સ્પેન જવાનું નક્કી કર્યું એ અંગે એમણે લખ્યું છે:”મારી જિંદગીના ૫૦ વર્ષ હું ભારતમાં રહ્યો .મને ત્યાં એટલું ગમી ગયેલું કે હું પાછો સ્પેન આવવા માગતો ન હતો.પરતું મારાં માતા જ્યારે ૯૯ વર્ષનાં અહીં (સ્પેનમાં )એકલાં પડ્યાં એટલે એમણે મને સ્પેન પાછા આવી જવા જણાવ્યું.મારી માતાની ઈચ્છાને માન આપી હું સ્પેન આવી ગયો અને એમની સેવામાં લાગી ગયો .
જ્યારે મારી માતાને હું પુછું કે બા તારી તબિયત કેમ છે ?એનો હમ્મેશનો જવાબ હોય કે દીકરા મારી જોડે તું છે એટલે કોઈ દુખ નથી,મજામાં છું.”એમની માતાની સાથે ગાળેલ સમય અંગે એ વધુમાં જણાવતાં કહે છે :”વૃધ્ધાવસ્થા માં માતા-પિતા જોડે રહી એમની સંગતમાં રહેવું એ એમની મોટામાં મોટી સેવા છે.માતાની ગમે તેટલી ઉમર હોય તો ય દીકરાના જીવન ઉપરનો એમનો મંગળ પ્રભાવ કદી ય પુરો થતો નથી.જિંદગીનું સૌથી માંઘુ ઔષધ માતાનો પ્રેમ છે.મારી જિંદગીનો સૌથી મોટો સંતોષ એ છે કે મારી માતાની માંદગી દરમ્યાન એમની સેવા ચાકરી કરવાની તક મને પ્રાપ્ત થઇ.તેઓ ૧૦૧ વર્ષ જીવ્યાં અને એમની અંતિમ ક્ષણોએ હું એમની સાથે હતો.એમના ચહેરા પર મારા પ્રત્યેનો સંતોષ અને આશીર્વાદના જે ભાવો પ્રગટ્યા હતા તે આજે પણ મારામાં જાણે કે નવી શક્તિ પ્રેરે છે.”ફાધર વાલેસની માતૃભક્તિ કેટલી ઊંડી હતી તે અહીં અસ્પષ્ટ વર્તાય છે.
-શૈલેષ રાઠોડ