-શૈલેષરાઠોડ
ધીરે ધીરે લોકો ફરી આર્યુવેદ અને નેચુરોપૈથીની તરફ વધી રહ્યા છે.લોકો માટીના વાસણનો ઉપયોગ પણ વધુ કરી રહ્યા છે.લુપ્ત થઈ રહેલી માટીકલા વચ્ચે ચરોતરના કણજરી ગામના 82 વર્ષિય ઈન્દિરાબેને પોતાની કોઠાસૂઝથી વિકસાવેલ માટીના ગૃહ વપરાશ,સજાવટ અને પૂજાના નમુના અવનવા,હોમ ડેકોર સહિતની પ્રોડકટ દેશમાં જ નહીં બલ્કે વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે અને આ પ્રોડકટ થકી ઇન્દીરબેનને અનેક એવોર્ડ પણ મળ્યો છે.
માટીકામ વિશ્વની સૌથી પ્રાચીન માનવ તકનીક અને કલા-સ્વરૂપ છે,અને આજે પણ તે મુખ્ય ઉદ્યોગ બની રહી છે.હસ્તકળાઓમાં ભાવનાઓ જોડાયેલી હોય છે,જે કલાને ખૂબ નિખાર આપે છે.કદાચ એનો જ પ્રતાપ હશે કે આ કલાના સ્થાન અનેક બદલાયા,એને સાચવનારા લોકો અનેક બદલાયા પણ આ કલા આજે હજારો વર્ષો પછી પણ અકબંધ છે અને દેશ- વિદેશમાં એની નામના છે.આધુનિક સમયમાં કુંભારની સ્થિતિ દયનીય બની છે ત્યારે તેમની કળામાં જોમ પુરવાનું કામ એક ૮૨ વર્ષીય મહિલા કરી રહ્યા છે.તેઓ માટીની તાકાતને સમજી તેને વૈજ્ઞાનિક ઢબે આકાર આપી ટેરાકોટા અને સિરામિક દુનિયામાં કુંભારની કલાને ઉજાગર કરી રહ્યા છે.આજે ગુજરાતના ચરોતરની માટીની ખુશ્બુ દેશ વિદેશમાં પહોચી છે.
82 વર્ષ થયા છતાં મારી મનગમતી પ્રવૃત્તિ કરવામાં એટલો જ આનંદ આવે છે, જેટલો જુવાનીના વર્ષોમાં આવતો હતો. હું ચોક્કસપણે માનુ છું કે પ્રવૃત્તિશીલ રહેવાથી આપણી માનસિક અને શરીરીક સ્વસ્થતા સારી રહે છે.માટીમાંથી આવ્યા ને માટીમાં ભળી જવાના એ વાત સર્વીદિત છે છતાય આપણે માટીની મહતા વિષે જનતા નથી.માટીના વાસણો આવનાર સમયની માંગ બનશે. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો તમારે માટીના વાસણમાં રસોઈ બનાવવાનું શરૂ કરી દેવું જોઈએ. તેમાં ઘણા પ્રકારના સૂક્ષ્મ પોષકતત્વો જોવા મળે છે, જે ખોરાકની મદદથી સીધા શરીર સુધી પહોંચે છે. આ તત્વો પ્રેશર કૂકરમાં બનાવેલા ખોરાકમાં હોતા નથી. તેથી માટીના વાસણોને તમારા રસોડાનો એક ભાગ બનાવો અને સ્વસ્થ રહો.માટીની સુશોભનની વસ્તુઓ ઘરમાં આનંદ આપશ,શાંતિ આપશે અને લુપ્ત થતી માટીકલાને નવજીવન આપશે.અનેકોના ઘરોમાં ચુલા સળગશે અને તેમના અસ્તિત્વથી પ્રકૃતિનું જતન થશે.
આ શબ્દો છે નડિયાદના કણજરી ગામના 82 વર્ષિય ઈન્દિરાબેનના.જેઓ માટીનો ઉપયોગ કરી સ્થાનિક કુંભારનો સાથે લઇ અવનવા કલાત્મક નમુના બનાવે છે.માટીમાંથી તૈયાર થતા ટેરાકોટા અને સિરામિક દુનિયામાં તેઓ આગવુ નામ ધરાવે છે.
ઈન્દિરાબેન શાહે આજથી 40 વર્ષ પહેલા શરૂ કરેલી એક નાની પ્રવૃત્તિ આજે એક સુંદર વિશાળ “માંગલ્ય હેન્ડીક્રાફ્ટ” માં પરિવર્તીત થઇ છે.અહી તૈયાર થતા નમુના ચમકીલા અને તેની પર કરવામાં આવેલી ડિઝાઇન જોઈને વીતેલી સભ્યતાનું પરિદ્રશ્ય નજર સમક્ષ ઊભું કરી દે છે.તેઓએ જણાવ્યું છે કે આ પ્રવૃત્તિને આગળ લાવવામાં તેમના પતિ, જે બનારસ યુનિવર્સિટીમાંથી સીરામીક એન્જીનીયર થયા છે, તેમનું ટેકનીકલ જ્ઞાન અને તેમની દીકરીઓ પારૂલ તથા ચૌલા જે ક્રીએટીવીટીની સૂઝ સાથે અત્યારના જમાના પ્રમાણે કલાને લોકો સુધી પહોંચાડે છે. માતા-દીકરીની ટીમવર્ક રંગ લાવ્યુ છે. બંને દિકરીના સહયોગથી આ કલા ભારત સહિત અમેરીકા, લંડન, નૈરોબી જેવા દેશોમાં પણ પહોંચી છે.વિદેશોમાં ભારતની માટીમાંથી બનેલી અવનવી વસ્તુઓની ભારે માંગ છે.ભારતીઓ ભારતની માટીમાંથી તૈયાર થયેલ કલાતમ્ક વસ્તુઓને ગૌરવભેર ખરીદે છે અને અવનવી સુશોભનની વસ્તુઓને”મેરે દેશ કી મીટ્ટી”સમજી તેને ફિલ કરે છે.
અમદાવાદ તથા વડોદરાની વચ્ચે આવેલ નડિયાદ તાલુકાના કણજરી ગામમાં પ્રકૃતિના ખોલે ખેતરમાં જ કલાને વૈજ્ઞાનિક ઢબે ઉછેરવામાં આવે છે.જેને “માંગલ્ય” સ્ટુડિયો નામ આપવામાં આવ્યું છે.શરૂઆતમાં સ્થાનિક 2-3 કારીગરો દ્વારા માટીમાંથી અવનવા માટીના આકારો તૈયાર કરવાનું શરુ કરાયું હતું. હવે આજે “માંગલ્ય”ની માટીની ખુશ્બુ વિશ્વભરમાં પ્રસરતાં અહી 35થી 40 કારીગરો ખૂબ લગનથી કામ કરી રહ્યા છે.
એક ફલાવરવાઝથી શરૂ કરેલી યાત્રામાં અત્યારે 500થી 600 અલગ-અલગ કલાના નમૂના છે. 6 ઇંચથી માંડીને 6 ફુટ સુધીની કલાકૃતિ બનાવી છે.માટીની તાકાતથી ટેરાકોટા, સ્ટોનવેરમાં પોટ્સ, પ્લાન્ટસ, સ્ટેચ્યુ, મ્યુરલ્સ અનેક કલાકૃતિ બને છે. આ કલાત્મક પ્રવૃત્તિમાં આજુબાજુના કુંભારોને ટેકનીકલ નોલેજ આપીને આધુનીક પધ્ધતિથી કામ લઇએ છીએ.જેને કારણે લુપ્ત થતી કુંભારની કલાને નવું જોમ મળ્યું છે.વાસ્તવિક રીતે જોઈએ તો ગામના લોકોમાં, બહેનોમાં કલા ભરપૂર છે.ચીની આર્ટીફીશીયલ અને પર્યાવરણને નુકશાન કરતા શુશોભાનો સામે અમે પ્રકૃતિને સાચવી કલાને વિકસાવી રહ્યા છીએ.ગ્રામીણ બહેનોને સાચા માર્ગે વાળીને બહેનોના સાથ-મહેનતથી અમે સુંદર કામ કરી શકીએ છીએ તેમ ઈન્દિરાબેને અભિયાન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
વધુમા તેઓએ કહ્યું કે,પ્રેમભર્યા કુદરતી વાતાવરણમાં કામ કરવાની મઝા જ અલગ છે.કુદરતના સાનિધ્યમાં કુદરતની રચના માટીને કલાતામ્ક આકાર આપવામાં ગ્રામ્ય સમાજની બહેનો સાથે પણ અમારો કૌટુંબિક નાતો બની ગયો છે.અમને એ વાતનો સંતોષ છે કે અમારી બહેનો અને કુશળ કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવામાં કલાનો હાથ છે અને એમનામાં રહેલી સુષુપ્ત કલા અમે બહાર લાવી શક્યા છીએ. માટીમાં કેટલી તાકાત હોય છે તે અમારા સ્ટુડિયોના દરેક ખૂણામાં પ્રતીત થાય છે. માંગલ્ય એક સ્ટુડિયો નહીં પણ કલાનું કુટુંબ છે. જેમાં અમે કારીગરોના બાળકોને ભણતર અને વ્યક્તિગત પ્રશ્નોનું પણ અમે ધ્યાન રાખીએ છીએ. કણજરી ગામમાં જ ફાર્મ હાઉસમાં, કુદરતના ખોળામાં અમારો સ્ટુડિયો છે. પ્રેમભર્યા કુદરતી વાતાવરણમાં કામ કરવાની મઝા જ અલગ છે. તેઓ બી.એ. (ફીલોસોફી) માં ગોલ્ડ મેડાલીસ્ટ છે તથા સરકાર તરફથી માટી કામમાં પણ એવોર્ડ મળેલ છે. આ કલાનું પ્રદર્શન અનેક ગેલેરીઓમાં યોજાઈ છે.
ફેક્ટરીમાંથી ફેકાયેલા કચરામાંથી એક ફલાવરવાઝ બનાવ્યું અને ત્રીસ વર્ષ અગાઉ નાનકડો ફલાવરવાઝ તૈયાર કરેલો. એ બાદ બે-ત્રણ નાની-મોટી કૃતિ સિરામિકમાંથી બનાવી હતી. મિત્રોને ભેટ આપી. એ લોકોને પસંદ પણ પડી. તેઓએ એ સમયે એવો વિચાર પણ નહોતો કર્યો કે આ ટાઇમપાસ પ્રવૃત્તિ ક્યારેક કુલટાઇમ પ્રવૃત્તિ બની જશે. આજે વિદેશોમાં સામેથી ઓર્ડર આવે છે.અમે ડીમાંડ મુજબ વસ્તુઓએ તૈયાર કરી આપીએ છીએ.
જો કે ઇન્દિરાબહેન સહેલાઇથી આગળ નથી આવ્યાં, એમની કલાની ટીકા કરવાવાળા લોકોની પણ ભૂતકાળમાં કમી ન હતી. એ કહે છે કે મારી બનાવેલી કૃતિ હું કોઇને ભેટ આપતી તો પાછળથી કોમેન્ટ થતી કે આખરે તો માટી જ છે ને. જમીન પર પડે કે કટકા. આવી ભેટ લોકો શા માટે આપતાં હશે? પરિવારમાં પણ ઘરમાં જ રહીને શરૂઆતમાં કામ કર્યું. વળી, મારે ત્યાં કામ કરતા લોકોની સાથોસાથ તેઓએ તેમની દીકરીના મોજશોખ પણ પૂરા કરી શક્યા છે. લોકો એવું પણ બોલતા કે તમે તો ખૂબ
પૈસાવાળા છો તો પછી આ માટીનાં વાસણોમાં શા માટે પોતાની શકિત વેડફો છો? પણ તેઓને તો લગની લાગી ગઇ હતી. દિવસ-રાત એમ જ વિચાર આવતો કે મારા કામમાં હું શું નવી વાત લઇ આવું?
41 વર્ષીય પારૂલ ધ્રુવા કહે છે. આજના આધૂનિક યુગમાં ગૃહ સજાવટ માટે ઇલેકટ્રોનિકસ અને ચમકદાર ચાજ વસ્તુઓેએ સ્થાન લીધંુ છે. તેમ છતાં માટીકલાની સુંદરતા અને તેનાં પ્રત્યેનો લગાવ રાખનારા અનેક લોકો દેશ દુનિયામાં વસે છે. તમામ ચીજવસ્તુઓ પયૉવરણને નુકશાન કરતી ન હોવાનાં કારણે અનેક લોકો તે ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. એકદમ સાચી વાત કહું તો બહુ નાનાં હતાં ત્યારે તો અમે મમ્મીના કામને કે કલાને ગાંઠતાં પણ નહીં. એવું થતું કે મમ્મી આખો દિવસ માટી વચ્ચે રહીને કંઇક બનાવતી રહે છે. પણ સાસરે ગયા બાદ પિયર આંટો મારવા આવતાં અને ગામના લોકો, સાસરે આવતા-જતા લોકો મમ્મીની કલાનાં વખાણ કરતા ત્યારે અમને ભાન થયું કે મમ્મીની કલાને વેગ ન આપીએ તો અમે કંઇ જ નથી કર્યું. વડોદરા સાસરે રહેતી બંને બહેનોએ મમ્મીના કામમાં સહભાગી થવાનું નકકી કર્યું. વીસેક વર્ષથી બીબીએ ભણેલી ચૌલા દેસાઈ અને હોમ સાયન્સ ગ્રેજયુએટ પારૂલ ચૌલા મમ્મી સાથે કદમ મિલાવીને કામ કરી રહી છે.
અમદાવાદના કાંકરિયા ઝૂના માછલીઘરના પ્રવેશદ્વાર પાસેનું મસમોટું માછલીઘર પણ એમણે બનાવ્યું છે. ભારતની વાડીલાલની કુલ્ફી માટેની માટીની પ્યાલીનો ઓર્ડર પણ ઇન્દિરાબહેને પૂરો કરેલો છે. ન્યુ બોમ્બે, સુરત અને અમદાવાદની ઇંડસઇંડ બેન્ક, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, વડોદરાની વેલકમ હોટેલ, પ્રકૃતિ રિસોર્ટ, અમદાવાદની ગ્લોબલ બેન્ક અને લક્ષ્મી હોસ્પિટલમાં ઇન્દિરાબહેન અને ચૌલા, પારૂલની કૃતિઓ શોભે છે. દરેક સ્ત્રીમાં કોઇ ને કોઇ આવડત રહેલી છે. ઘેરબેઠાં ઘર અને ઘરને સંભાળવાથી વધારે પણ પોતાની એક અલગ દુનિયા છે એવું દરેક સ્ત્રીએ સમજી લેવાનું છે તેમ ઈન્દિરાબેને જણાવ્યું છે.
અંતમાં ઇન્દીરાબેન શાહે માટીની વસ્તુઓ અને વિશેષ વાસણોનો ઉપયોગ કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે,પહેલાના જમાનામાં ઘેર ઘેર માટીના વાસણો જ ઉપયોગ લેવામાં આવતા હતા. જે આરોગ્યવર્ધક હતા. આજે શરીરને નુકશાન કરતી ધાતુનો ઉપયોગ વધવાથી આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે. જ્યારે માટીમાં પંચ તત્વો છે. આ તત્વો શરીર માટે ખુબ સારા છે. માટીના વાસણો થી ડાયાબિટીસ પણ દૂર થાય છે. માટીના વાસણોમાં ભોજન મુકવાથી શરીરમાં ફોસ્ફોરસ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ પહોંચે છે. જ્યારે બીજા કાંચ, સ્ટીલ અથવા એલ્યુમિનિયના વાસણથી આવા ફાયદા નથી મળતા. માટીમાં બનેલુ અને મુકવામાં આવેલું ભોજન પેટને ખાસ ફાયદો કરે છે. તે ગેસ અને અપચાની સમસ્યામાં રાહત આપે છે.
-Shailesh Rathod