“અમારી બંને વચ્ચે એક વસ્તુ સામાન્ય હતી, દેશને સારું જીવવાની અને મરવાની ધગશ.”
આ શબ્દોથી પૂજ્ય ગાંધીજીએ જેમને નવાજ્યા તે દેશભક્ત વીર વિઠ્ઠલભાઈનું 1933 માં પરદેશમાં અવસાન થયું.ખેડા જિલ્લાની પ્રજાએ તેમના સ્મારકમાં અનેક વિઠ્ઠલભાઈ પેદા કરી શકે એવી માતાઓ તૈયાર કરવા એક નમૂનેદાર કન્યા વિદ્યાલય સ્થાપવાનું નક્કી કર્યું. જેના ભાગરૂપે એક સમિતિ રચાઈ,જેની સભામાં તારીખ 18/11/1934 ના રોજ વિઠ્ઠલ કેળવણી મંડળ નામનું મંડળ સ્થપાયું.
આપણા દેશની આઝાદીની લડત દરમિયાન ગઈ સદીના પૂર્વાર્ધમાં ગાંધીજીએ મેકોલેએ આપેલી કેળવણીના તરાહના વિકલ્પ તરીકે શિક્ષણની એક નવી જ તરાહ આપણને આપી. 1919 માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. તેના પગલે ગુજરાતમાં જે બીજી રાષ્ટ્રીય કેળવણીની સંસ્થા ઊભી થઈ તેમાં કન્યા કેળવણી માટે નડિયાદમાં શ્રી વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રી વિઠ્ઠલ કન્યા વિદ્યાલય મોખરાના સ્થાને છે. જેમાં સ્વાતંત્ર સેનાનીઓના ઘણા સંતાનો એ તાલીમ લીધી છે.
શ્રી વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ 1934 માં સ્થપાયું અને 1935 માં શ્રી વિઠ્ઠલ કન્યા વિદ્યાલય નું ગાંધીજીએ સંતરામ મંદિરમાં ઉદ્ઘાટન કર્યું.
1935 માં વિશ્વવિભૂતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ વાવેલું કન્યા કેળવણીનું બીજ વટ વૃક્ષ થઈ ઊભું છે. તેની શાખા પ્રશાખાઓ અને વડવાઈઓ આજે કેટલાય પથિકોને શિતળ છાય આપતી રહી છે. સંસ્થાની ચોક્કસ ધ્યેયલક્ષી ગતિશીલતાએ અનેક દીકરીઓને સ્પષ્ટ ધ્યેય સાથેનું ઉન્નત જીવન આપ્યું છે.
“વૃક્ષોના પારખા ફળ ઉપરથી”એ ન્યાયે આજે આ સંસ્થાની દીકરીઓ વિસ્તરી છે,વિક્સી છે.
તારીખ 30/10/36 ના રોજ સ્વ.શેઠ જમનાલાલ બજાજ ના શુભ હસ્તે કન્યા છાત્રાલય શરૂ કરાયું.
તારીખ 10/03/42 ના રોજ સરદાર સાહેબના હસ્તે કન્યા વિદ્યાભવનનું ઉદ્ઘાટન કરાયું
તારીખ 13/06/1956ના રોજ સ્વ.મોરારજીભાઈ દેસાઈના વરદ હસ્તે અધ્યાપન મંદિર નું ઉદ્ઘાટન કરાયું
-શૈલેષ રાઠોડ