સંઘર્ષ પછીની સફળતાનો સ્વાદ અનેરો હોય છે.સંઘર્ષમાંથી જ સફળતાનો જન્મ થાય છે.જરૂર છે સંઘર્ષમાં હારશો નહિ..સંઘર્ષને પાકટ બનવા દો…પછી જુઓ ફળ કેવા મધુરા મળે છે.-શૈલેષ રાઠોડ
એક વ્યકિત રસ્તા પર ચાલીને ઘરે જઈ રહ્યો હતો, રસ્તા પર તેની નજર વિશાળ વૃક્ષ નીચે રાખેલા પાણીના પરબ ઉપર પડી, પોતાને તરસ લાગી હોવાથી તે પરબનું પાણી પીને થોડી વાર માટે વૃક્ષ નીચે બેસી જાય છે, વૃક્ષ નીચે બેઠો હતો ત્યારે તેની નજર પાસે પડેલા ઈંડા ઉપર પડી ઈંડા ને તે વ્યકિત પોતાની સાથે પોતાના ઘરે લઈ જઈ એક મખમલના કાપડ ઉપર રાખી દે છે. મખમલના કાપડ ઉપર રાખેલું ઈંડુ પતંગિયાનું હોય છે.
ઘર પર લઈ આવેલા ઈંડા ને તે વ્યકિત રોજ જોઈ ખાતરી કરતો કે તેમાંથી જીવ બહાર આવે છે કે નહી. થોડા દિવસ બાદ ઈંડામાં એક નાનું કાણું દેખાય છે, ઈંડામાં પડેલા કાણાને નિરખીને જુએ તો એક નાનું પતંગિયુ બહાર નીકળવાની ગડમથલ કરી રહ્યું હતું. ઘણા પ્રયત્નો કરવા છતાં તે નાનું પતંગિયુ બહાર આવી શકતું ના હતું. પતંગિયુ થોડી વાર માટે બહાર નીકળવાના પ્રયત્ન બંધ કરે છે. પતંગિયાની ગડમથલ જોઈ રહેલા વ્યક્તિને લાગ્યું કે પતંગિયુ થાકી ગયું હોવાથી નિકળી શકશે નહી. આથી તે વ્યકિતને પતંગિયાની દયા આવી. તેમણે હાથમા એક કાતર લીધી અને નિરાંતે કાળજી પૂર્વક ઈંડાનું બાકીનું પડ ખોલી નાખ્યું અટલે પતંગિયુ સહેલાઈથી બહાર આવી ગયું.
ઈંડાનું પળ હટતા સહેલાઈથી બહાર આવેલા પતંગિયાની પાંખો નાની અને નબળી હતી. તેમજ પતંગિયાનું શરીર પણ ફુલી ગયેલું હતું. તે વ્યક્તિ હજુ પતંગિયાને જોઈ રહ્યો હતો. વ્યક્તિને આશા હતી કે હમણા પાંખો મોટી થઈ પતંગિયુ ઉડવા લાગશે. પરંતુ વ્યક્તિની આશા પ્રમાણે કંઈ થયું નહીં. પતંગિયુ વ્યકિતની આશા મુજબ ઉડી તો ના શક્યું ઉલટાનું ફુલી ગયેલા શરીરના કારણે ચાલી પણ શકતું ના હતું અને પતંગિયાને પોતાની બાકીની જિંદગી પણ ફુલી ગયેલા શરીરે ઘસડાઈને પસાર કરવી પડી.
પતંગિયાને ઘસડાઈને ચાલતા જોઈ તે વ્યક્તિ ખુબ દુઃખી બન્યો. દયાથી પ્રેરાયેલો તે વ્યકિત ઉતાવળમા ઈશ્વરની કરામત સમજી શકયો નહીં કે ઈંડામા રહેલું પ્રવાહી પતંગિયાની પાંખોમા જાય ત્યારે પાંખો ઉડી શકે તેટલી મજબુત બને, પતંગિયાને ઉડવા માટે સક્ષમ બનાવનાર ઈંડા અંદર રહેલું પ્રવાહી હતું જે પતંગિયાના નીકળવાના સંઘર્ષ દરમિયાન પાંખો મજબુત બનાવતું હતું અને તેના માટે પતંગિયાને સંઘર્ષ કરવો જરૂરી હતો. પરંતુ તે વ્યક્તિએ કાતરથી ઈંડાનું પળ દુર કરી પતંગિયાને ઉડવા સક્ષમ કરતું પ્રવાહી પણ પતંગિયા સાથે બહાર કાઢી નાખ્યું આથી પતંગિયુ ઉડી શક્યું નહીં.
આપણા જીવનમાં પણ આવી ગડમથલ જરૂરી હોય છે. વ્યક્તિ સંઘર્ષ દ્વારા જ જીવન સંગ્રામનું બળ પ્રાપ્ત કરી શકે છે. સંઘર્ષ વગરનું જીવન નિર્માલ્ય બની જાય છે. આપણા વડીલો કહે છે કે ગોળાઈ અને ખાડાં કે ટેકરા વગરનો જીવન પથ વ્યક્તિને ક્યાંય લઈ જતો નથી..!!