ખંભાતના સંગીત સમ્રાટ પદ્મશ્રી પંડિત ઓમકારનાથ ઠાકુર
સંઘર્ષો વચ્ચે ઉદ્ભવ્યો સંગીત સિતારો
મહાત્મા ગાંધી ફિલ્મ અને સંગીતથી દૂર રહ્યાની બાબતથી દેશ અને દુનિયા અજાણ નહોતાં, તેમને એનું ખેંચાણ પણ નહોતું, બીજું તેમની પાસે અનેક મોટા કાર્યો હતાં, છતાં તેમણે એકવાર પંડિત ઓમકારનાથ ઠાકુરના ગાયનને વખાણ્યું હતું. ગાંધીજીએ એક વાર કહ્યું હતું કે “પંડિત ઓમકારનાથજી એક ગીત ગાઈને જે હાંસલ કરી શકે છે તે હું સંખ્યાબંધ ભાષણો આપીને પણ મેળવી શકતો નથી. પંડિત ઓમકારનાથના ગાયન અને વ્યક્તિત્વનો આવો પ્રભાવ હતો. બીજો એક કિસ્સો જે અનેક ઠેકાણે નોંધાયેલો છે તે એવો છે કે પંડિતજી યુરોપના પ્રવાસે હતા ત્યારે તેમણે ઈટાલિના સરમુખત્યાર બેનિટો એમિક્લેર એન્ડ્રિયા મુસોલિનીના અનિદ્રાના રોગને સંગીતના સૂરો વડે દૂર કર્યો હતો. મુસોલિનીને પંડિતજીનાં ગાયન પ્રત્યે એવો લગાવ થયો કે તેણે તેમના ગાયનને સ્વરલિપિબદ્ધ કરવા રોમની સંગીત રોયલ એકેડેમીના પ્રિન્સિપલને રીતસરની આજ્ઞા કરી હતી, એમ પુસ્તક ‘સૂર અને સ્વર’ લખેલું મળે છે. ગતકાળના પ્રખ્યાત અભિનેતાઓ અને રાજ, શમ્મી, શશી જેવા હોનહાર પુત્રોના ઍક્ટર-નાટ્યસર્જક પિતા પૃથ્વીરાજ કપૂર તેમના ગાયનના ઘેલા ચાહક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે ‘પંડિતજી એટલું અદ્ભુત ગાય છે કે તેમના ગીતોને સાંભળવા જ નહીં, પણ આંખથી જોવા પણ જોઈએ.’ પંડિતજી ગાયનમાં અભિનય કે નાટકીયતા પર પણ ભાર મૂકતા હતા.
અહીં આ મહાન ગાયક અને સંગીતમાર્તંડ તેમનો જન્મ ગુજરાતના આણંદ જિલ્લાના ખંભાત પાસેના જહાજ નામના ગામમાં ૨૪ જૂન, ૧૮૯૭ના દિવસે થયો હતો. જહાજ ગામ ખંભાતથી પાંચ કિલોમીટરના અંતરે અને આણંદથી પાંત્રીસ કિલોમીટરના અંતરે છે. ઓમકારનાથ ચોથું સંતાન હતા. તેમને બે મોટાભાઈઓ, નાનો ભાઈ અને એક બહેન હતાં. તેમના જન્મ વખતે મોટાભાઈ બાલકૃષ્ણ ૧૨ વર્ષના હતા.રવિશંકર ચાર વર્ષના અને બહેન પાવર્તી આઠ વર્ષનાં હતાં. સરકારી (એ વખતે રાજાઓની) ચાકરી કરનારા કુટુંબમાં જન્મેલા ઓમકારનાથના દાદા પંડિત મહાશંકર નાનાસાહેબ પેશ્ર્વાના લશ્કરમાં હતા તો પિતા ગૌરીશંકર વડોદરાના મહારાજા સાયાજીરાવ ગાયકવાડના માતા મહારાણી જમનાબાઈના લશ્કરમાં બસો સશસ્ત્ર ઘોડેસવારોની ટુકડીના કમાન્ડર હતા, પણ ‘અલવણીબાબા’ નામના યોગીના સંપર્કમાં આવીને ગૌરીશંકરે નોકરી છોડી સંન્યસ્ત ગ્રહણ કરી લીધું, પિતા પ્રણવના ઉપાસક બન્યા એટલે સંતાનો ઉછેરવાની અને ઘર ચલાવવાની બેવડી જવાબદારી માતા ઝવેરબાના માથે આવી.
પિતાની આ અવસ્થામાં ચોથા સંતાનનો જન્મ થતા તેમનું નામ ઓમકાર રાખવામાં આવ્યું હતું. ગૌરીશંકરે ઘર છોડ્યું નહોતું, પણ ઘરસંસારમાં તેમનું મન નહોતું. ઝવેરબાને સંયુક્ત કુટુંબની જવાબદારી ઉપાડવાની હતી તે સાથે જેઠના મિજાજને અને વડીલોના અપમાનોને સાંખવાના હતા. સંતાનોને પ્રેમ આપવાનો સમય તેમની પાસે ક્યાંથી હોય? માતા શારીરિક અને માનસિક ગજબની ખુમારીવાળાં હતાં, તેમની મહેનત કરવાની વૃત્તિ અને પિતાના સાહસના ગુણ ઓમકારનાથના લોહીમાં આવ્યા હતા. ઉપરાંત પિતા પાસેથી પ્રણવ-ઉપાસનાનો પાસ પણ મેળવ્યો હતો. એ વખતના બહુ ઓછા સંગીતકારો-ગાયકો-કળાકારો શરીરની સુદૃઢતા પ્રત્યે ધ્યાન આપતા હતા જ્યારે ઓમકારનાથ નિયમિતપણે વ્યાયામ અને સૂર્યનમસ્કાર કરતા હતા જે તેમણે ગામા પહેલવાન પાસેથી શીખ્યા હતા.
જહાઝના નીલેશભાઈ પરમાર જણાવે છે કે-ખંભાત તાલુકાના જહાઝ ગામે પંડિત ઓમકારનાથને યાદ અપાવતું સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે.સંસ્કૃતિક વિભાગે માત્ર એક સ્ટેચ્યુનું ઉદ્ઘાટન કર્યું પછી કંઈજ કર્યું નથી.પદ્મશ્રી ઓમકારનાથ વિશ્વના શ્રેષ્ઠ સંગીતકાર હોવા છતાં સરકાર દ્વારા ગામમાં સ્મૃતિ સ્મારક બનવાવમાં આવ્યું નથી તે દુખની વાત છે.ગ્ર્માંજનો દ્વારા તેમના જન્મ દિવસે વિવધ કાર્યક્રમો રાખવામાં આવે છે પરંતુ સરકાર મહાન કલાકારને ભૂલી ગઈ છે.
શિક્ષણવિદ ચંદ્રકાંત ઝવેરી જણાવે છે કે-આવી હસ્તી એ ખંભાત તાલુકાનું ગૌરવ છે. ૧૯૧૬માં પંડિત પલુસ્કરે લાહોરમાં ગાંધર્વ મહાવિદ્યાલય શરૂ કરતા તેમણે ૨૦ વર્ષના પંડિત ઓમકારનાથ ઠાકુરને પ્રિન્સિપલ તરીકે મુક્યા. વર્ષો પછી ઑગસ્ટ ૧૯૫૦માં બનારસ હિન્દુ વિદ્યાપીઠમાં મ્યુઝિક ફેક્લ્ટી શરૂ કરવામાં આવી ત્યારે પંડિત ઓમકારનાથજી ઠાકુર તેના પહેલા ડીન બન્યા હતા.અમે ખંભાત ખાતે થોડા વર્ષ પહેલા સંગીત કાર્યક્રમ યોજ્યો હતો ત્યારે સરકાર દ્વારા સ્મારકની જાહેરાત થઇ હતી પરંતુ તેનો અમલ થયો નથી.
તાજેતરમાં તેમના જન્મ દિવસે જહાજના ગ્રામજનોએ સ્થાનિક પ્રાથમિક શાળામાં ઉજવ્યો હતો.સરપંચ તથા શિક્ષકો અને સ્થાનિક અગ્રણીઓ સરકારની નિષ્ક્રિયતાથી દુખી છે.
પ્રોફેસર અને કવિ જયદેવ શુક્લે કહે છે કે- કે પંડિતજી કવિવર રવીન્દ્રનાથ ટાગોરના જબરદસ્ત ચાહક હતા અને તેમનાથી પ્રભાવિત પણ હતા. એ અસરમાં તેમણે ઠાકુર શબ્દને અટક તરીકે અપનાવી લીધો હતો. જયદેવભાઈના કહેવા અનુસાર પંડિતજી પ્રણવરંગના ઉપમાને કાવ્યો-ગીતો લખી તેને કમ્પોઝ પણ કરતા હતા. કવિ શુક્લનું કહેવું છે કે પંડિતજી ગ્વાલિયર ઘરાણાના સૌથી પહેલા એવા ગાયક છે જેમણે તેમની ગાયકીમાં ગ્વાલિયર ઘરાણાને યથાવત્ રાખી તેને કિરાણા ઘરાણાનો પાસ આપ્યો હતો જેથી તેમનું ગાયન વધુ મધુર બન્યું હતું. વળી અન્ય ગાયકો બે તાનપુરાનો સંગાથ મેળવતા પણ પંડિતજી ચાર તાનપુરાનો ઉપયોગ કરતા જેથી તેમના ગાયન-માધુર્યમાં અજબનું ઊંડાણ જણાતું-અનુભવાતું. સંગીતમાં એક મુકામ હાંસલ કર્યા બાદ પણ તેમણે પોતાની નાદોપાસના થંભાવી નહોતી. તેમણે અપ્રચિલત, ઓછા પ્રચલિત રાગોમાં ગીતો કમ્પોઝ કરી તેને સ્ટેજ પરથી ગાવાની હિંમત કરી હતી.
૧૯૨૨માં ઓમકારનાથજી સુરતના ધનાઢ્ય શેઠ પ્રહ્લાદજી દલસુખરામ ભટ્ટના પુત્રી ઈંદિરાદેવીને પરણ્યા હતા. ઘરસંસાર સુખી હતો.
પંડિતજી સંગીત કાર્યક્રમો, સંગીત વિષયક લેક્ચરો વગેરે માટે વિદેશ જતા થયા, ફ્લોરેન્સ ગયા, પછી જર્મની, હોલૅન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ, લંડન, વેલ્સ, સ્વીત્ઝર્લૅન્ડ વગેરે સ્થળોનો પ્રવાસ કરીને નામના મેળવી હતી. તેમણે અફઘાનિસ્તાનમાં કિંગ અમાનુલ્લા ખાન સમક્ષ પણ ગાયન કર્યું હતું. લંડનમાં તેમને મિત્રોએ કહ્યું કે પંચમ કિંગ જ્યોર્જની સમક્ષ ગાવાની તક માગવાની અરજ કરવા જણાવીને કહ્યું કે તેઓ તમને ‘રાવબહાદુર’નો ઈલ્કાબ આપશે. કલાકાર હૃદય ઉકળી ઉઠ્યું અને ના પાડી દીધી. વિદેશ પ્રવાસમાં તેઓ રશિયા જતા હતા ત્યારે સુવાવડમાં બાળકની સાથે ઈંદિરાદેવીનું અવસાન થયાનો સંદેશો મળતા દુ:ખી હૃદયે દેશમાં પાછા ફર્યા હતા. આઘાતથી એટલા બેબાકળા થઈ ગયા હતા કે હંગામી ધોરણે તેમને વિસ્મૃતિનો રોગ થયો હતો. તેઓ પત્નીને બહુ ચાહતા હતા એટલે તેમણે ફરી લગ્ન કરવાનું નકારી કાઢ્યું હતું અને એ માટે તેમના ઈષ્ટદેવ ભગવાન રામનો દાખલો આપ્યો હતો.
પંડિતજીને અનેક શિષ્યો હતા અને બધા જ શિષ્યો પ્રખ્યાત થયા. તેમનાં કેટલાક નામોમાં ડૉ. પ્રેમલતા શર્મા, યશવંતરાય પુરોહિત, બલવંતરાય ભટ્ટ, કનકરાય ત્રિવેદી, શિવકુમાર શુક્લ, ફિરોજ કે. દસ્તુર, બીજોનબાલા ઘોષ દસ્તીદાર, ડૉ. એન. રાજમ, રાજભાઉ સોનટક્કે, શ્રીમતી સુભદ્રા કુલશ્રેષ્ઠ, અતુલ દેસાઈ, પી. એન. બર્વે, કુમારી નલિની ગજેન્દ્રગડકર અને સુરતના મહાદેવ શર્મા શાસ્ત્રીનો સમાવેશ થાય છે. સાહિત્યકાર-નાટ્યકાર પ્રાગજી ડોસા પણ પંડિતજીના શિષ્યગણમાં હતા.
જયદેવ શુક્લે જણાવે છે કે-કે એકવાર સુરતમાં વરસાદ ન પડયો, લંબાઈ ગયો ત્યારે કિલ્લાના મેદાનમાં પંડિતજીએ આખો દિવસ મલ્હાર રાગના જુદા જુદા પ્રકારો ગાયા કર્યા હતા અને મોડી સાંજે વરસાદ પડ્યો હતો, આ વાત સિદ્ધહસ્ત સાહિત્યકાર અને પત્રકાર ભગવતીકુમાર શર્માએ પણ નોંધી છે
પત્નીના
મૃત્યુ ઉપરાંત સ્વજનોની કાયમી વિદાયથી શોકમય રહેનારા પંડિતજીને અગાઉ
૧૯૫૪માં હાર્ટ-અટેક આવ્યો હતો, પણ તેમાંથી સાજા થઈ ગયા હતા પછી મુંબઈમાં
જુલાઈ ૧૯૬૫માં લકવાનો ગંભીર હુમલો થયો હતો તેમાંથી તબિયતમાં આંશિક રીતે
સુધારો થયો હતો. ૧૯૬૬માં તેમને લકવાનો વધુ ગંભીર હુમલો થયો તેને કારણે આખું
શરીર ઝલાઈ ગયું અને તેમની સ્મરણશક્તિને પણ હાનિ પહોંચી હતી. તેમના જીવનના
છેલ્લાં વર્ષો દયાજનક વીત્યા હોવાનું ડૉ. એન. રાજમ લખે છે. વધુમાં તેઓ લખે
છે કે ‘એકલતામાં જીવન જીવતા અને ૬૫ વર્ષની પાકટ વયે તેમને ઝાડુ મારતા અને
પોતાની રસોઈ બનાવતા જોવા ખરેખર બહુ દયાજનક હતું. છેલ્લે તો પથારીવશ રહ્યા
હતા.તેમનો દેહવિલય ૨૯ ડિસેમ્બર, ૧૯૬૭ના દિવસે થયો હતો.
અધ્યાત્મને સંગીત સાથે જોડવાનો પંડિતજીનો અભિગમ
પંડિત ઓમકારનાથ ઠાકુર જેટલા સંગીતમગ્ન હતા એટલા જ ધામિર્ક-આધ્યાત્મિક પણ હતા. ધામિર્ક વિધિ-વિધાનમાં પૂરી સમર્પિતતા સાથે સામેલ થતા. એમના સુરતના નિવાસ દરમિયાન સુરતના સમર્થ યજુર્વેદ પંડિત સ્વ. ચન્દ્રકાંત શુક્લ સાથે એમનો નિકટનો સંબંધ હતો. પ્રત્યેક નવરાત્રિમાં નવે નવ દિવસ શુકલજીએ ઓમકારનાથજીના ઘરે ચંડીપાઠ માટે જવાનું રહેતું, પણ પંડિતજી અનોખા યજમાન હતા. પોતે હાર્મોનિયમ લઈને શ્રવણ કરવા બેસતા. પંડિતજી હાર્મોનિયમ પર મધ્ય સપ્તકના પંચમનો સૂર લગાડી એમાં જ આખો ચંડીપાઠ કરવાનો આગ્રહ રાખતા. સંગીતના અને પંડિતજીના ચાહક શુક્લજીને આ રીતે પાઠ કરવામાં સામાન્ય કરતા બમણો સમય લાગતો અને આમ નવેનવ દિવસ કરાતું. આધ્યાત્મને સંગીત સાથે જોડવાના પંડિતજીના આ અભિગમને શુક્લજી પણ અનહદ પ્રેમથી સાથ આપતા.
પુસ્તકો અને એવોર્ડ
ઓમકારનાથજીએ સંગીત વિષયક કેટલાક પુસ્તકો પણ લખ્યા છે. જેમાં સંગીતાંજલિ, સ્વરશાસ્ત્ર, રાગશાસ્ત્ર, પ્રણવભારતી, રસશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે.તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક સહિત નેપાળના રાજાએ ‘સંગીત મહોદય’, કાશી સંસ્કૃત વિદ્યાલયે ‘ગાનસમ્રાટ’, બંગાળે ‘સંગીત સમ્રાટ’, પંડિત મદનમોહન માલવિયાએ ‘સંગીત પ્રભાકર’ અને ભારત સરકારે ‘પદ્મશ્રી’ આપ્યો હતો. ૧૯૬૩માં બનારસ હિન્દુ યુનિવર્સિટી તરફથી ‘ડિ લિટ’ અને ૧૯૬૪માં કલકત્તા યુનિ. તરફથી ‘ડોક્ટર્સ ઑફ લેટર્સ’ની પદવી અપાઈ હતી તેમ જ રવીન્દ્રભારતી યુનિ.એ પણ તેમને કલામાં માનદ્ ડિગ્રી આપી હતી. એક આડવાત રવીન્દ્રભારતીની માનદ્ ડિગ્રી મેળવવામાં ગુજરાતના સપૂતો કદાચ આગળ છે,
“વંદેમાતરમ’ અને ‘જોગી મત જા…’ ગીત સહુના હૈયે
નિલાંબરી, કોમલ રિષભ આશાવરી, માલકૌંસ તો એમને ગમતા રાગ એટલે એવું મન મૂકીને ગાતા કે શ્રોતા દંગ રહી જતો. એ સાથે તેમનું બહુ જાણીતું ભૈરવીમાં ગાયેલું ‘જોગી મત જા…’ ગીત તો દરેક વખતે ફરમાઈશ દ્વારા ગવાયાના દાખલા છે.‘વંદેમાતરમ’ની પણ કાયમની ડિમાન્ડ હતી જે તેઓ પ્રચલિત ઢાળ મૂકીને પોતાની રીતે કંમ્પોઝ કરેલું એ ગાતા અને દેશના દુશ્મનો પણ વાહ પોકારી ઉઠતા હતા. તેમણે ખાસ પ્રચલિત નહીં એવા ચંપક અને સુહા-સુહાગ રાગ પણ વારંવાર ગાયા છે.
-ચંદ્રકાંત ઝવેરી સૌરભ સંસ્થા ખંભાત
ગજબની જીવન શૈલી
તેઓ ખાનપાનમાં બહુ જ કડક હતા ચુસ્ત શાકાહારી હતા અને પોતાના આરોગ્ય પ્રત્યે બહુ સભાન રહેતા. વર્ષો સુધી સ્વીમિંગ અને રેસલિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું.ઓમકારનાથે જીવનભર શિસ્તભર્યું જીવન વીતાવ્યું હતું. પિતા પાસે અનેક યોગિક શક્તિ હોવાનું ઓમકારનાથજી કહેતા. પિતાએ પોતાના મૃત્યુનો સમય ભાખ્યો હતો અને મૃત્યુ અગાઉ પંડિતજીની જીભ પર એક મંત્ર લખી આશીર્વાદ આપ્યા હતા. ઓમકારનાથ ૧૪ વર્ષના હતા ત્યારે પિતા દેવલોક થયા હતા.
-નીલેશ પરમાર સ્થાનિક રહેવાસી જહાજ ગામ ખંભાત
: “પંડિત ઓમકારનાથ ઠાકુર”- મહાન શાસ્ત્રીય સંગીતકાર (24-6-1897 થી 29-12-1967)(જન્મ સ્થળ:- જહાજ,ખંભાત,આણંદ)
☆જહાજ, કેમ્બે, ભાદરણ ડિસ્ટ્રીકટ, બરોડાસ્ટેટ, બ્રિટીશ ઈન્ડિયા.☆ગરીબ લશ્કરી પરિવાર ☆તખલ્લુસ નામ- પ્રણવ રંગ ☆દાદા મહાશંકર ઠાકુર 1857 ભારતીય બળવા માંથી નાના સાહેબ પેસ્વા માટે લડયાં☆પિતા ગૌરીશંકર પણ મહારાણી જમનાબાઈ ટુકડી ના સદસ્ય હતાં☆તેમને બે ભાઇ તથા એક બહેન હતી ☆1909- માં ભાઈ રમેશચંન્દ એ તેમને હિંદુ કલાસિકલ મ્યુઝિક, ગાન્ધર્વ મહાવિદ્યાલય મુંબઈ મા તાલીમ અપાવી
☆1916- માં તે 20 વર્ષની ઉંમરે પ્રિન્સીપાલ બન્યાં, લાહોર શાખા,પલુસ્કર ગાન્ધર્વ મહાવિદ્યાલય ☆મહાત્મા ગાંધીજી એ તેમનુ સંગીત સાંભળીને કહ્યુ કે ‘પંડિત’….!!!☆1919- માં ભરુચ માં પાછા ફરી મ્યુઝિકલ સ્કૂલ ગન્ધાર્વ નિકેતન ની સ્થાપના કરી ☆1920-
માં ભરુચ જિલ્લા, ઈન્ડિયન નેશનલ કોંગ્રસ કમિટી ના અધ્યક્ષ બનાવાયા…
ઈન્ડિયન કોંગ્રેસ કમિટીના વાર્ષિક સંમેલન માં અચૂક વંદે માતરમ્ ગીત ગાતા ☆1922- માં ધનિક શેઠ ની મહાન દીકરી ઈન્દિરા દેવી સાથે લગ્ન કર્યા☆1924- માં નેપાલ રોયલ ઈન્વીટેશન માં તેમને સૌ પ્રથમ વાર 5000 રુપિયા ઈનામ મેળવ્યું☆1931- માં તેમને ઈટાલી ઈન્ટરનેશનલ મ્યુઝિકલ કોન્ફરન્સ, ફલોરેન્સ માં આમંત્રિત કર્યા☆1933- માં યુરોપ મા તેમનુ પ્રથમ ભારતીય સંગીત પરફોર્મન્સ…. તે દરમિયાન તેમની પત્ની નુ અચાનક અવસાન થયુ… અને તે ભારત પાછા ફર્યા.☆તે કલાસિકલ મ્યુઝિક ના લેકચર આપવા માટે જર્મની,હોલેન્ડ,ઈંગ્લેન્ડ,વેલ્સ,સ્વીઝરલેન્ડ,બેલ્જિયમ તથા રસિયાના પ્રવાસે ગયેલા☆તે ગુજરાતી,મરાઠી,પંજાબી, સંસ્કૃત,ઉર્દૂ,નેપાલી,ઈંગ્લિશ ભાષામાં માસ્ટર હતા☆તેમને એક પુસ્તક લખ્યુ હતુ -‘ઈન્ડિયન કલાસિકલ મ્યુઝિક એન્ડ ઈટ્સ હિસ્ટ્રી’☆તેમની પ્રતિમા વાળી 2 રુપિયા ની ઈન્ડિયન પોસ્ટ ટિકિટ ભારત સરકારે બહાર પાડી હતી☆1955- માં પદ્મશ્રી એવોર્ડ ☆પ્રથમ વિદ્યાશાખા અધ્યક્ષ – બનારસ હિન્દુ યુનિવર્સિટી☆1963- માં સંગીત નાટક અકેડમી એવોર્ડ ☆1963- માં ડૉક્ટરેટ પદવી બનારસ હિન્દુ યુનિવર્સિટી ધ્વારા ☆1964- માં ડૉક્ટરેટ પદવી રવિન્દ્ ભારતી યુનિવર્સિટી ધ્વારા☆1967- માં 1954 મા આવેલ હદય હુમલા ની અસર થી 1965 માં તબિયત બગડતા અંતે 1967 માં દુઃખદ અવસાન થયું….☆ભારતીય સંસદમાં વંદે માતરમ્ ગીત સાથે સ્વ.પંડિત ઓમકારનાથ ઠાકુરને ભાવભીની શ્રધ્ધાંજલી આપવામા આવી હતી…