-શૈલેષ રાઠોડ
ખંભાત તાલુકાના રેલ ગામથી 5 કિમી દૂર સદીઓ જૂનું કુદરતી રીતે નિર્માણ પામેલું કનેવાલ તળાવ આવેલ છે. 13 કિમીના ઘેરાવામાં ફેલાયેલાં તળાવ વચ્ચે ત્રણ ટાપુ આવેલા છે. કનેવાલ તળાવમાંથી ખંભાત સહિત તાલુકાના રેલ, ઇશનપુર, વરસડા, વલ્લી, ખાખસર, પાદરા, તારાપુર, ઇસરવાડા, ટોલ, મહિયારી, ઇશનપુર, ખાનપુર સહિતન 54 ગામોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે.કનેવાલ, એ ભાલ પ્રદેશનું એક સ્વયંભુ તળાવ છે,જે બારેમાસ પાણીથી ભરેલું જ રહે છે અને આજુબાજુના દરેક ગામડાઓને પાણી પૂરું પાડે છે.
ખંભાતના ભાલ પંથકમાં આજે પણ ગ્રામ્ય જીવન અનેક રંગોમાં ધબકતું હોઈ પ્રવાસીઓ તેમજ ફોટોગ્રાફીના શોખીનો માટે મહત્વનું સ્થળ બની રહ્યું છે. નવાબી નગર ખંભાતથી તેમજ તારાપુરથી કનેવાલ જવા માટે માર્ગ છે.જે સ્થળેથી પ્રવાસીને તારાપુર કે ખંભાત નજીક પડે ત્યાં પહોચવું જોઈએ.આ બન્ને સ્થળોએથી કનેવાલ સરળતાથી પહોચી શકાય છે.પ્રકૃતિ વચ્ચે શાંતિ જોઇએ તો આ સ્થળ ઉત્તમ છે,સ્વર્ગ સમાન છે.અહી પહોચતા સુંધીમાં ભારતનું સાચું ગ્રામ્ય જીવન તમને મોહિત કરી દેશે.
ખંભાતમાં કનેવાલ વિસ્તાર વિદેશી પક્ષીઓ માટે આશીર્વાદ સમાન છે.આ વિસ્તારમાં શિયાળામાં ફ્લેમિંગો અચૂક મુલાકાત લે.આ સ્થળ ફ્લેમિંગો માટે પ્રિયતમ સ્થળ છે.અહીં કેટલાંક પ્રવાસી ફ્લેમિંગો પક્ષીઓએ કાયમી નિવાસ સ્થાન બનાવી દીધું છે.ખોરાક-પાણી-બેટ અને હરિયાળી આ પક્ષીઓને માફક હોય-ખંભાત મનપસંદ સ્થળ બની ગયો છે.
આ અંગે આર.એફ ઓ. ડી.એમ.ડાભીએ જણાવ્યું હતું કે-ઉત્તર ભારત અને ઠંડા પ્રદેશોમાંથી નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં પ્રવાસી પક્ષીઓનું આગમન ગુજરાત તરફ શરૂ થાય છે.ચાલુ વર્ષે ઠંડી શરૂ થતા ખંભાતના અખાતીય ભાલ પ્રદેશોમાં ડીસેમ્બરમાં પક્ષીઓનું આગમન થયુ છે. ભાલ પંથકમાં આવેલા કનેવાલ તળાવમાં ગાજહંસ, ગ્રે લેગ ગીઝ, ભગવી સુરખાલ જેવા વિવિધ જાતિના હંસ, ચમચા, ફ્લેમિંગો, પેન્ટાસ્ટોક, સાઈબીરિયાના વેગટેલ જેવા વિવિધ જાતિના પ્રવાસી પક્ષીઓ આવેલ છે. આ બધા પ્રવાસી વિદેશી પક્ષીઓમાંથી યાયાવર પક્ષીઓ સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.ટુક સમયમાં જ ચરોતરમાં ઊતરી આવતાં યાયાવર પક્ષીઓને વિદેશી ગણવામાં આવે છે, પરંતુ કુદરતની પણ અનોખી રચનામાં આ વિદેશી પક્ષીનો જન્મ પણ અહીં જ થાય છે. પ્રજનન અને ઉછેર સહિતનો ગાળો અહીં વીતવા છતાં આ પક્ષી વિદેશી ગણવામાં આવે છે.
ભાલની મહેમાનગતિએ આવતાં આ યાયાવર પક્ષી ગરમીની શરૂઆત થતાં જ પોતાના વતનની વાટ પકડી લેતાં હોય છે. દર વર્ષે સરેરાશ આણંદ જિલ્લામાં એક લાખ કરતાં પણ વધુ યાયાવર પક્ષી મહેમાન બનતાં હોય છે.
સૌથી વધુ સારસ ખંભાત અને તારાપુર તાલુકામાં જોવા મળે છે
ખંભાત અને તારાપુરના કનેવાલ અને પરિએજ તળાવ સરસ પક્ષીઓ માટે શ્રેષ્ઠતમ બન્યા છે. એક વર્ષમાં 86 સારસ પક્ષીઓની સંખ્યામાં વધારો થયો છે. 2021ની છઠ્ઠી સારસ ક્રેન ગણતરી 35 ગ્રામીણ સારસ સંરક્ષણ જૂથો, વિદ્યાનગર નેચર ક્લબના 5 સ્વયંસેવકો, વિવિધ શાળાના 5 શિક્ષકો, સામાજીક વનીકરણ વિભાગ નડીયાદ અને UPL પ્રોજેક્ટ ટીમની સક્રિય ભાગીદારી સાથે કરવામાં આવી હતી.
જવા માટે શ્રેષ્ઠ સમય શિયાળો છે. આ સમયે ત્યાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે. એટલે પક્ષીઓના જાણકારો માટે આ સમય શ્રેષ્ઠ છે. અને શિયાળામાં ત્યાની વનરાજી પણ ખુબ ખીલી હોય છે એટલે અમે પણ શિયાળો જ પસંદ કર્યો. બસ, સવારે સાતેક વાગે અમે આણંદથી કાર લઈને નીકળ્યા. લગભગ ૨ કલાકે અમે કનેવાલ તળાવ પાસે પહોચ્યા. તારાપુર ચોકડી થી વટામણ જતા, લગભગ ૧૫ કિલોમીટરે વરસડા ગામનો ખાંચો આવે ત્યાંથી અંદર દસેક કિલોમીટરે આ તળાવ પાસે પહોચી શકાય. વરસડા ના ખાચામાં વળતા જ થોડા આગળ જતા ગ્રેનરી નો આનંદ લુંટવાનો ચાલુ થઇ જાય !
પર્યાવરણવિદ પ્રા.હરેશ પટેલ જણાવે છે કે-એકદમ નેચરલ પ્રવાસની ઈચ્છા હોઈ તો અચૂક ભાલ પંથકના કનેવાલ તરફ પ્રયાણ કરજો.પોતાના વાહનમાં વધુ મજા આવશે.વહેલી સવારે અને સાંજે આ વિસ્તાર રમણીય લાગે છે.બપોરે ખેતર કે તળાવ કિનારે ગ્રામ્ય રમતો રમતા રમતા વામ કુક્ષી કરી શકો છો. હજુ પણ પ્રવાસ-પર્યટન ગોઠવ્યા ન હોય તો ગરમીથી બચવા ફરવા ઉપડી જવાય, બાળકો માત્ર ભણવા માટે અને પછી કારર્કિદી ઘડીને પૈસા કમાવા માટે જ અવતર્યા નથી. એટલે જ કહેવાયુ છે કે, દવામાં તો કાંઈ મજા નહિ અને જીવનમાં મજા જેવી કોઈ દવા નહિ.
કનેવાલ પહોંચો કે તરત જ કુદરતના ખોળે આવી ગયાનો આનંદ આવે. તળાવના કિનારે વિદેશી પક્ષીઓ વિશે થોડી માહિતી આપતા બોર્ડ પણ મરેલા છે. જો તમને પક્ષીઓ વિષે જ્ઞાન અને શોખ હોય, તો ઘણું જાણવા મળે.અહી બોટ માટે પગથીયા વાળું પ્લેટફોર્મ બનાવ્યું છે. એના પગથીયે બેસીને તમે પાણીમાં પગ બોળી તરતી જીણી માછલીઓ ને જોઈ શકો, એટલું ચોખ્ખું પાણી છે.
કનેવાલ તળાવમાં 43 ફૂટ સુધી પાણી ભરવામાં આવે છે. તળાવની ફરતે 9 ગેટ આવેલા છે. ચોમાસામાં વધુ પાણી ભરાય ત્યારે સિંચાઇ માટે આજુબાજુના ગામોના ખેડૂતોને પાણી અપાય છે. આ તળાવમાંથી કેનાલ મારફતે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના 60 ગામોને પણ પીવાનું પાણી અપાય છે. જેથી સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજુલા, પીપળી, ધોલેરા, ધંધુકા સહિતના ગામો માટે પણ આ તળાવ જીવાદોરી સમાન છે. ઉનાળામાં પાણીની તંગી નિવારવા મહીં સિંચાઇની કેનાલમાંથી પાણી છોડાવામાં આવે છે.
ખંભાતથી કનેવાલ માર્ગ પણ ગ્રામ્ય સંસ્કૃતિ પ્રદર્શિત કરતો માર્ગ છે.કનેવાલ ખાતે રંગબેરંગી પક્ષો તેમજ બોટિંગ ની વ્યવસ્થા હોઈ સુદર વિડીયો ગ્રાફી થઇ શકે છે.અહી રામના રમકડા,જય શિકોતર માં,પરદેશી માયા,મનખા નો મેળો સહિતના ફિલ્મોના શુટિંગ થયા છે.
ના વીજળી, ના શાળા, ના દવાખાનું, તળાવ વચ્ચે 3 ટાપુ પર 215 લોકો જીવે છે હોડી યુગમાં
ખંભાત કનેવાલ તળાવ વચ્ચે આવેલા 13 હેકટરના ટાપુ પર 215થી વધુ લોકો હોડી યુગમાં જીવી રહ્યાં છે. તેઓ બારે માસ પાણી વચ્ચે રહે છે અને નજીકના અન્ય બે ટાપુ પર નાની મોટી ખેતી કરે છે. આ ટાપુ પર વીજળી, શાળા કે દવાખાના જેવી કોઈ સુવિધા નથી છતાં કુદરતના ખોળે રહેતાં સંતુષ્ટ લોકોમાં અનેરો આનંદ જોવા મળે છે. રાત્રે અંધકાર વચ્ચે સ્થાનિક ટાપુ વાસીઓ પોતાના કાચા ઘરમાં સ્વખર્ચે સોલાર પેનલથી થોડો ઉજાસ ફેલાવે છે. ઘરનો સામાન લેવા, દૂધ વેચવા, સ્કૂલે જવા એમને રોજ તળાવ ઓળંગીને હોડીમાં બીજે પાર નજીકના ગામમાં જવું પડે છે.
ખંભાતના હેમલ શાહ જણાવે છે કે,કનેવાલ તળાવ કિનારે એક પાટિયા પર બોટવાળા ભાઈનો ફોન નંબર લખેલો જ છે.જો તમારે તળાવમાં બોટિંગ કરવું હોય, તો એ નંબર પર ફોન કરો એટલે એ ભાઈ બોટ લઈને આવે અને તમને તળાવમાં બોટિંગ કરાવે. હા, તમે કેટલા વ્યક્તિ છો એ જણાવવું, તો એ પ્રમાણે બોટ લાવે. ત્યાં નાની હલેશા વળી બોટ અને એન્જીન વાળી આંઠ-દસ વ્યક્તિ બેસી શકે એટલી બોટ પણ હોય છે.એ તળાવમાં બોટિંગ સિવાય પણ જો તમે આ બોટ વાળા ભાઈને વિનંતી કરો, તો ત્યાં અંદર ટાપુ પર તમને લઇ જાય. જો કોઈને ગામડા જોવાનો શોખ હોય, તો એ ટાપુ તો એમના માટે સ્વર્ગ જેવો લાગે.અહી કુદરત ખીલી ઉઠી છે.
ટાપુ ઉપર સુંદર ફૂલો વિશેષ કમળજોવા મળશે.તમેબોટમાં બેઠા બેઠા પણ તમે એ કમળને પકડી શકો. ફોટોગ્રાફી કરવાની મઝા પડી જશે.અહી ટાપુ પર ૫-૬ પરિવાર રહે છે.નાના, કાચા ઘર બહાર ઝાડ નીચે ખાટલો પાથરી બેસવાની મઝા અહી લઇ શકાય છે. ઝાડ નીચે, કાથીના ખાટલામાં, શીતળ પવનમાં ગરમા ગરમ ચા..સ્વર્ગનો અહેસાસ થશે.આ ટાપુ પર ગામમાં વીજળી નથી, દરેક લોકો પોતાની સોલાર પેનલ લગાવે અને બેટરીથી ઘરની લાઈટો ચલાવે. ઘરનો સામાન લેવા, દૂધ વેચવા, સ્કુલે જવા એમને રોજ તળાવ ઓળંગીને બીજે પાર જવું પડે. ત્યાં બાળકો પણ હોડીમાં જ સ્કુલે જાય છે.
અહીના લોકો વીરડામાંથી પાણી પીવે છે.વીરડો એટલે, એવો ખાડો, કે જેમાં નજીકના તળાવનું પાણી જમીન માંથી ગળાઈને આવે.આ ગામના લોકો આમાંથી પાણી ભરી એને પીવાના ઉપયોગમાં લે છે. બધા લોકો ત્યાંથી જ પાણી ભરી જાય. તમે આ બેટ અને અહીની પ્રકૃતિ સંસ્કૃતિને માણી ધન્યતા અનુભવશો.તમે બોટ વાળા ભાઈને ફોન કરો એટલે તમને આવીને લઇ જશે.કુદરતના સાનિધ્યમાં જીવનને નીરખવા અહી અચૂક આવવું જોઈએ.